મહારાષ્ટ્ર કાલથી અનલોક, જાણો રાજ્ય સરકારની મહત્વની ઘોષણા અને નવી ગાઇડગાઇન અંગે

મહારાષ્ટ્ર કાલથી અનલોક, જાણો રાજ્ય સરકારની મહત્વની ઘોષણા અને નવી ગાઇડગાઇન અંગે

મુંબઇ, 14 ઓગસ્ટ 2021 શનિવાર

મહારાષ્ટ્રમાં 15 ઓગસ્ટથી નવા કોરોના પ્રોટોકોલ અમલમાં આવશે. મહારાષ્ટ્ર સરકારે કોવિડ -19 ની બીજી લહેરને કારણે મે મહિનામાં લાદવામાં આવેલા પ્રતિબંધોને વધુ હળવા કર્યા છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કરી છે કે રવિવારથી કોવિડ -19 સામે સંપૂર્ણ રસીકરણ કરનારાઓ માટે મુંબઈ લોકલ ટ્રેન સેવાઓ ઉપલબ્ધ રહેશે. જેમને ઓછામાં ઓછા પંદર દિવસ પહેલા રસીનો બીજો ડોઝ મળ્યો છે તેઓ મુંબઈની લોકલ ટ્રેનમાં મુસાફરી કરી શકશે.

નવા નિયમ મુજબ, જેમને કોવિડ-19 સામે સંપૂર્ણ રસી લગાવવામાં આવી છે તેઓએ તેમના ટ્રેન પાસ મેળવવા પડશે. તેઓ તેને સ્માર્ટફોન, વોર્ડ ઓફિસો અને ઉપનગરીય રેલવે સ્ટેશનથી પ્રાપ્ત કરી શકશે. સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, “મુસાફરો મોબાઇલ એપ દ્વારા ટ્રેન પાસ ડાઉનલોડ કરી શકે છે. જેમની પાસે સ્માર્ટફોન નથી, તેઓ શહેરની મ્યુનિસિપલ વોર્ડ ઓફિસો તેમજ ઉપનગરીય રેલવે સ્ટેશનો પરથી ફોટો પાસ મેળવી શકે છે.”

રાજ્ય સરકારે રાત્રે 10 વાગ્યા સુધી 50 ટકા ક્ષમતા સાથે શોપિંગ મોલ, હોટલ, રેસ્ટોરન્ટ, જીમ અને સ્પા ખોલવાની મંજૂરી આપી છે. આ સાથે જ  આ સંસ્થાઓ સાથે જોડાયેલા તમામ કર્મચારીઓએ કોરોનાની રસીના બંને ડોઝ લઈ લીધા હોવા જોઈએ તેવી શરત પણ રાખવામાં આવી છે. મોલનાં ગ્રાહકોએ પ્રવેશ દ્વાર પર તેમનું કોરોના રસીકરણ પ્રમાણપત્ર પણ બતાવવું પડશે, ત્યારબાદ જ તેમને અંદર જવાની મંજૂરી આપવામાં આવશે. બીજા ડોઝ પછી 14 દિવસનો સમય પુરો થઈ ગયો હોય. તેવી જ રીતે તમામ દુકાનો પણ રાત્રે 10 વાગ્યા સુધી ખોલી શકાશે. દુકાનદારો અને તમામ સ્ટાફને પણ રસીકરણ પૂર્ણ કરવાની શરતો લાગુ પડશે.

તમામ પ્રકારના સાંસ્કૃતિક, સામાજિક, રાજકીય કાર્યક્રમો પર પ્રતિબંધ રહેશે. ભીડ વધે તેવા કોઈ કાર્યક્રમને મંજૂરી આપવામાં આવશે નહીં. લગ્ન સમારંભો માટે હોલમાં સોશિયલ ડીસ્ટન્સ સાથે મહત્તમ 100 લોકો અને આઉટડોર એટલે કે લૉનમાં 200 લોકોને મંજૂરી આપવામાં આવી છે.

આ ઉપરાંત, જીમ, યોગ કેન્દ્રો, સલુન્સ, બ્યુટી પાર્લર અને સ્પા પણ રાત્રે 10 વાગ્યા સુધી 50 ટકા ક્ષમતા સાથે ખોલી શકાય છે. બેડમિન્ટન, ટેબલ ટેનિસ, સ્ક્વોશ, મલખંભ જેવી ઈન્ડોર રમતોને મંજૂરી આપવામાં આવશે. પરંતુ એક સમયે હોલમાં માત્ર બે ખેલાડીઓને જ મંજૂરી છે. અહીં પણ તમામ ખેલાડીઓ, મેનેજરો, સભ્યો અને સ્વચ્છતા કામદારો માટે કોવિડ રસીકરણનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. ઉપરાંત, બીજા ડોઝ પછી 14 દિવસ વીતી ગયા છે તે પણ મહત્વનું છે.

Share: