મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-NCP નો સાથ છોડી શિવસેના ફરી BJP સાથે જશે? જાણો ઉદ્ધવ ઠાકરેનો જવાબ

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-NCP નો સાથ છોડી શિવસેના ફરી BJP સાથે જશે? જાણો ઉદ્ધવ ઠાકરેનો જવાબ

મુંબઇ, 6 જુલાઇ 2021 મંગળવાર

મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તનની અટકળો ચાલી રહી છે. તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે શનિવારે શિવસેનાના સાંસદ સંજય રાઉત અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આશિષ શેલાર વચ્ચે એક ગુપ્ત બેઠક પણ યોજાઇ છે. આ પહેલા પણ શાસક શિવસેના અને વિપક્ષ BJPના અનેક નેતાઓ વચ્ચે ગુપ્ત બેઠક થઈ છે. આ બેઠકોથી મહારાષ્ટ્રમાં સત્તામાં પરિવર્તનની અટકળોને વેગ મળ્યો છે.

જો કે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આવી કોઈ પણ શક્યતાને નકારી કાઢી છે. તેમણે કહ્યું કે હું હજી પણ અજિત પવાર અને બાળાસાહેબ થોરાટ સાથે બેઠો છું. હું ક્યાંય નથી જઇ રહ્યો. મહારાષ્ટ્રનાં મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ શિવસેના-BJP એકબીજાની નજીક આવ્યાની અટકળો પર આ જવાબ આપ્યો છે.

અત્રે ઉલ્લેખનિય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી સરકારમાં બધુ બરાબર ચાલી રહ્યું નથી. પહેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે હવેથી તેમની પાર્ટી એકલી ચુંટણી લડશે અને તે પછી રવિવારે દેવેન્દ્ર ફડણવીસે પણ નિવેદન આપ્યું હતું કે શિવસેના BJP ની દુશ્મન નથી. ત્યારબાદથી ફરી એકવાર અટકળો શરૂ થઈ ગઈ છે કે બંને પૂર્વ સાથીઓ ફરી એકવાર સાથે આવી શકે છે.

સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અમારા પર લોકશાહીની હત્યાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે. તેને કાળો દિવસ કહેવામાં આવી રહ્યો છે, પરંતુ શું તેઓ દબાણ બનાવવાના પ્રયાસ માટે તપાસ એજન્સીઓનો ઉપયોગ કરે છે ત્યારે કેન્દ્ર લોકશાહીને સફેદ કરે છે.

Share: