મહારાષ્ટ્રની સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 18 દર્દીના મોત, કુલ 24ના મોત, CM શિંદેએ આપ્યા તપાસના આદેશ

મહારાષ્ટ્રની સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 18 દર્દીના મોત, કુલ 24ના મોત, CM શિંદેએ આપ્યા તપાસના આદેશ

ઠાણે, તા.13 ઓગસ્ટ-2023, રવિવાર

મહારાષ્ટ્રના ઠાણે સ્થિત કલવામાં આવેલી છત્રપતિ શિવાજી મહારાજા મેમોરિયલ હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં 18 દર્દીઓના મોત થાય હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રારંભિક રિપોર્ટ મુજબ મોટી સંખ્યામાં મૃત્યુ પામેલા લોકોને આઈસીયુમાં દાખલ કરાયા હતા. આ મૃતકો ઉપરાંત હોસ્પિટલ તરફથી હજુ ચોક્કસ ડેટાની પુષ્ટિ કરાઈ નથી. અગાઉ પણ અહીં એક સાથે 6 દર્દીઓના મોત થયા હતા. આમ એક સપ્તાહમાં હોસ્પિટલમાં 24 લોકોએ જીવ ગુમાવ્યા છે. એક દિવસમાં ઉપરાઉપરી મોત થવાની ઘટાના કારણે મૃતકોના પરિવારજનોએ પણ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. તો બીજી તરફ એનસીપી નેતા શરદ પવારે ટ્વિટ કરીને વહીવટીતંત્ર અને સરકારને ઘેરી છે.

એક સાથે આટલા બધાના મોત કેવી રીતે થયા ? અધિકારીઓ તપાસમાં લાગ્યા

હોસ્પિટમાં સતત મોત થવાની ઘટના બાદ અધિકારીઓ પણ તપાસમાં લાગી ગયા છે. મીડિયા અહેવાલો મુજબ મોટાભાગના દર્દીઓ ઉંમરલાયક અને ખુબ જ ગંભીર સ્થિતિમાં હતાં. એવું કહેવાઈ રહ્યું છે કે, આ હોસ્પિટલ શહેરની એકમાત્ર ક્ષેત્રીય હોસ્પિટલ છે. આ હોસ્પિટલમાં દર્દીઓની ઘણી ભીડ હોય છે. આ હોસ્પિટલમાં ઉપનગરો ઉપરાંત પડોશી જિલ્લાના લોકો પણ સારવાર માટે આવતા હોય છે. ઉપરાંત અહીં રિનોવેશનનું કામ પણ ચાલી રહ્યું છે. હાલ હોસ્પિટલના ડીને 18 લોકોના મોત થયું હોવાના સ્વિકાર કર્યો હોવાના અહેવાલો મળ્યા છે.

CM શિંદેએ આપ્યા તપાસના આદેશ

પ્રેસ કોન્ફરન્સને સંબોધીત કરતા મ્યુનિસિપલ કમિશનર અભિજીત બાંગરે કહ્યું કે, મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સ્થિતિ અંગે માહિતી મેળવી છે અને સ્વતંત્ર તપાસ સમિતીની રચના કરવાનો આદેશ આપ્યો છે, જેની અધ્યક્ષતા આરોગ્ય સેવા કમિશનર કરશે. ઉપરાંત આ સમિતિમાં કલેક્ટર, સિવિક ચીફ, આરોગ્ય સેવાઓના નિદેશક પણ સામેલ હશે. આ સમિતિ મોત થવાના કારણોની તપાસ કરશે. આ દર્દીઓને કિડનીની પથરી, ક્રોનિક પેરાલિસિસ, અલ્સર, ન્યુમોનિયા, કેરોસીન પોઈઝનિંગ, સેપ્ટિસેમિયા વગેરે જેવી બિમારી હતી. તેમણે કહ્યું કે, આ દર્દીઓની કરાયેલી સારવારની તપાસ કરાશે અને મૃતકોના પરિવારજનોના નિવેદન નોંધવામાં આવશે. કેટલાક પરિવારજનોએ બેદરકારીનો પણ આરોપ લગાવ્યો છે, જેને તપાસ સમિતિ ધ્યાને લેશે.

શરદ પવારે દુઃખ વ્યક્ત કરી તંત્ર ઉઠાવ્યા સવાલ

આટલી મોટી સંખ્યામાં દર્દીઓના મોત થયા બાદ એનસીપી વડા શરદ પવારે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, આટલા બધા લોકોના મોત થવા છતાં તંત્રની ઊંઘ ઉડી નથી… બીજીતરફ પરિવારજનો પણ હોસ્પિટલના મેનેજમેન્ટ પર આરોપો લગાવી રહ્યા છે.

હોસ્પિટલના મેનેજમેન્ટે શું કહ્યું ?

સતત મોતની ઘટના અંગે હોસ્પિટલ પર આંગળી ચિંધાઈ રહી છે, ત્યારે હોસ્પિટલના મેનેજમેન્ટે કહ્યું કે, તમામ દર્દીની સારવારમાં કોઈપણ બેદરકારી થઈ નથી. તો બીજીતરફ પૂર્વ મેયર અને શિવસેના નેતા નરેશ મ્હાસ્કેએ કહ્યું કે, તેમણે આ મામલે જવાબદારો સાથે વાત કરી… અધિકારીઓને આટલા બધા લોકોના મોતનું કારણ જાણવા તપાસ કરવા કહેવામાં આવ્યું છે.

Share: