×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મહારાષ્ટ્રના પુણે ખાતે નિર્માણાધીન બિલ્ડિંગનો લોખંડનો સ્લેબ પડતાં 6 મજૂરોના મોત


- ખૂબ જ વજનદાર જાળી નીચે દટાયેલા મજૂરોના શરીરમાં લોખંડના સળિયા ઘૂસી ગયા હતા

નવી દિલ્હી, તા. 04 ફેબ્રુઆરી, 2022, શુક્રવાર

મહારાષ્ટ્રના પુણે ખાતે ગુરૂવારે રાત્રિના સમયે એક મોટી દુર્ઘટના બની હતી જેમાં 6 મજૂરોના મોત થયા છે અને 3 મજૂરો ગંભીર રીતે ઘવાયા છે. પુણેના યેરવડા થાણા ક્ષેત્ર ખાતે આ દુર્ઘટના બની હતી અને ઘાયલોની સારવાર ચાલી રહી છે. ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડ વિભાગની ટીમે રેસ્ક્યુ ઓપરેશન દ્વારા ભારે મહેનતથી મજૂરોને બહાર કાઢ્યા હતા. 

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ રોહિદાસ પવારે જણાવ્યું કે, આ દુર્ઘટનામાં 5 લોકોના મોત થયા છે અને 3 લોકો ગંભીર રીતે ઘવાયા છે. ટ્રાફિક પોલીસ કમિશનર રાહુલ શ્રીરામના કહેવા પ્રમાણે યેરવડાના શાસ્ત્રી વાડિયા બંગલો પાસે આ દુર્ઘટના બની હતી. એક નિર્માણાધીન બિલ્ડિંગના બેઝમેન્ટમાં મોડી રાતે કામ ચાલી રહ્યું હતું તે સમયે લોખંડનો વજનદાર સ્લેબ અચાનક જ પાર્કિંગમાં ધરાશાયી થયો હતો. કમિશ્નરે જણાવ્યું કે, સ્લેબ ભરવા માટે 16 mmના લોખંડના વજનદાર સળિયા વડે જાળી બનાવવામાં આવી હતી. જાળીના સહારે ઉભેલા મજૂરો કામ કરી રહ્યા હતા અને અચાનક જ લોખંડની વિશાળકાય જાળી કામ કરી રહેલા 10 મજૂરો પર પડી હતી. 

ખૂબ જ વજનદાર જાળી નીચે દટાયેલા મજૂરોના શરીરમાં લોખંડના સળિયા ઘૂસી ગયા હતા. આ દુર્ઘટના અંગે જાણ થયા બાદ ફાયર વિભાગની ટીમ ત્યાં ધસી ગઈ હતી અને કટરની મદદથી જાળીમાં દબાયેલા મજૂરોને બહાર કાઢ્યા હતા. 

યેરવડા પોલીસે આ મામલે કેસ દાખલ કરીને તપાસ આરંભી છે અને સાથે જ મજૂરો ક્યાંથી આવ્યા હતા અને ક્યારથી ત્યાં કામ કરી રહ્યા હતા તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.