મહાપંચાયતના મંચ પરથી રાકેશ ટિકૈતે લગાવ્યા હર હર મહાદેવ અને અલ્લાહુ-અકબરના નારા

મહાપંચાયતના મંચ પરથી રાકેશ ટિકૈતે લગાવ્યા હર હર મહાદેવ અને અલ્લાહુ-અકબરના નારા


– વધુમાં ટિકૈતે કહ્યું કે, દેશમાં સેલ ફોર ઈન્ડિયાનું બોર્ડ લાગ્યું છે અને તેને ખરીદનારા અંબાણી-અદાણી છે

નવી દિલ્હી, તા. 05 સપ્ટેમ્બર, 2021, રવિવાર

મુઝફ્ફરનગર ખાતે ખેડૂતોની મહાપંચાયત યોજાઈ છે. આ મહાપંચાયત જીઆઈસી ગ્રાઉન્ડ ખાતે યોજાઈ છે. આ મહાપંચાયતમાં 300 કરતા વધારે ખેડૂત સંગઠનો સામેલ થઈ રહ્યા છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. સંયુક્ત કિસાન મોરચાએ કરેલા દાવા પ્રમાણે આ ખેડૂતોની અત્યાર સુધીની સૌથી મોટી મહાપંચાયત છે. 

ઉત્તર પ્રદેશ ઉપરાંત પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર, કર્ણાટક જેવા 15 રાજ્યના ખેડૂતો આ મહાપંચાયતમાં જોડાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. દિલ્હીની સરહદે લાંબા સમયથી આંદોલન ચાલી રહ્યું છે ત્યાંના ખેડૂતો પણ સામેલ થયા છે. 

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે મંચ પરથી કહ્યું કે, આ લોકો ભાગલા પાડવાનું કામ કરી રહ્યા છે અને આપણે તેમને અટકાવવાના છે. પહેલા દેશમાં અલ્લાહુ-અકબર અને હર હર મહાદેવના નારા એકસાથે લગાવવામાં આવતા હતા અને ભવિષ્યમાં પણ લાગશે. તેમણે ભીડ પાસેથી અલ્લાહુ અકબર અને હર હર મહાદેવના નારા પણ બોલાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, ઉત્તર પ્રદેશની જમીન તોફાનો કરાવનારાઓને નહીં આપીએ. આ લડાઈ 3 કાળા કાયદાથી શરૂ થઈ. 28 જાન્યુઆરીના રોજ આંદોલનની કતલ થતી, હજારોની ફોર્સ હતી, અમે સેંકડો હતા, પણ અડગ રહ્યા. જ્યાં સુધી અમારી માગણીઓ માનવામાં નહીં આવે ત્યાં સુધી અમે ત્યાંથી હટીશું નહીં. કોઈ પણ કિંમતે ત્યાંથી નહીં ખસીએ. અમને પાક પર એમએસપીની ગેરન્ટી જોઈએ અને જ્યાં સુધી અમારી માગણી માનવામાં નહીં આવે ત્યાં સુધી સંયુક્ત મોરચો આખા દેશમાં આંદોલન કરશે. 

વધુમાં ટિકૈતે કહ્યું કે, દેશમાં સેલ ફોર ઈન્ડિયાનું બોર્ડ લાગ્યું છે અને તેને ખરીદનારા અંબાણી-અદાણી છે. એફસીઆઈના ગોદામો પણ કંપનીને આપી દીધા. બંદરો પણ વેચાઈ ગયા, મત્સ્ય ઉછેર અને મીઠાનું ઉત્પાદન કરનારા ખેડૂતોને અસર થશે. આ લોકો પાણી પણ વેચશે. ભારત બિકાઉ છે- આ ભારત સરકારની પોલિસી છે. આંબેડકરનું બંધારણ પણ જોખમમાં છે. 

Share: