મણિપુર પર આફત : ભુસ્ખલનથી હાઈવે બ્લોક, 500 ટ્રક ફસાયા, આવશ્યક ચીજવસ્તુઓને અસર થવાની સંભાવના

મણિપુર પર આફત : ભુસ્ખલનથી હાઈવે બ્લોક, 500 ટ્રક ફસાયા, આવશ્યક ચીજવસ્તુઓને અસર થવાની સંભાવના
Image – Twitter

ઈમ્ફાલ, તા.17 ઓગસ્ટ-2023, ગુરુવાર

હિંસાનો સામનો કરી રહેલા મણિપુરમાં વધુ એક આફત આવી છે. ભારે વરસાદના કારણે મણિપુરના નોની જિલ્લામાં મોટાભાગે ભુસ્ખલન થવાની ઘટના સામે આવી છે. ભુસ્ખલનના કારણે ઈમ્ફાલ-સિલચ્ચર હાઈવે બંધ થઈ ગયો છે. આ કારણે હાઈવે પર વિવિધ સ્થળોએ ઓછામાં ઓછા 500 ટ્રક ફસાયા છે. હિંસા પ્રભાવિત રાજ્યમાં આવશ્યક ચીજવસ્તુઓના જથ્થાને અસર થવાની સંભાવના છે.

મણિપુરમાં ઘણા દિવસોથી પડી રહ્યો છે વરસાદ

અધિકારીઓએ જણાવ્યું કે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ-37 પર ઈરાંગ અને અવાંગખુલ ભાગ-2, ખોંગસાંગ અને રંગખુઈ ગાવ વચ્ચે ભુસ્ખલની ઘટના બની છે. તેમણે કહ્યું કે, હાલ રસ્તાને સાફ કરી ટ્રાફિક વ્યવસ્થા ફરી શરૂ કરવા માટે પુરજોશમાં કામગીરી ચાલી રહી છે. તેમણે કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ પડવાના કારણે ભુસ્ખલનની ઘટના બની છે.

ગત વર્ષે ભુસ્ખલનના કારણે 61 લોકોના મોત થયા હતા

ઉલ્લેખનિય છે કે, ગત વર્ષે 30 જૂને જિરીબામ-ઈમ્ફાલ રેલવે લાઈનના તુપુલ રેલવે બોર્ડ નિર્માણ સ્થળ પર ભુસ્ખલનની ઘટના બની હતી, જેમાં ઓછામાં ઓછા 61 લોકોના મોત નિપજ્યા હતા. રાજ્યમાં મે મહિનામાં હિંસા થઈ અને આ હિંસા ત્રણ મહિનાથી વધુ સમય સુધી યથાવત્ છે, જેમાં 160થી વધુ લોકોના મોત થયા છે.

Share: