મણિપુરમાં ફરી હિંસા ભડકી, ગોળીબારની ઘટનામાં 2ના મોત, નેશનલ હાઈવે પર 72 કલાકનું શટડાઉન

મણિપુરમાં ફરી હિંસા ભડકી, ગોળીબારની ઘટનામાં 2ના મોત, નેશનલ હાઈવે પર 72 કલાકનું શટડાઉન

image : Twitter / representative image

 

મણિપુરમાં તમામ પ્રયાસો છતાં હજુ હિંસા શમવાનું નામ નથી લઈ રહી. રવિવારે રાતે પણ બે જગ્યાએ ગોળીબાર થયો હતો જેમાં ઓછામાં ઓછાં 2 લોકો મૃત્યુ પામી ગયા. ફાયરિંગની પ્રથમ ઘટના ફેલેંગ ગામમાં બની જ્યારે બીજી કાંગપોકલીના થાંગબુહ ગામમાં બની હતી. એક મૃતકની ઓળખ 34 વર્ષના જાંગખોલુમ હાઓકિપ તરીકે થઇ હતી. આ ઉપરાંત 16 જુલાઈએ જ કમિટી ઓન ટ્રાયબલ યુનિટીએ નેશનલ હાઈવે – 2 પર 72 કલાકના શટાડાઉનની જાહેરાત કરી હતી. 

શટડાઉનની કરાઈ જાહેરાત 

મણિપુરમાં હિંસાની તાજેતરની ઘટનાઓ બાદ સંગઠને શટડાઉનની જાહેરાત કરી હતી. સીઓટીયુના મહાસચિવ લામ્મિનલુન સિંગસિતે કહ્યું કે 16 જુલાઈની મધ્યરાત્રિથી શટડાઉન લાગુ કરાયું છે. સતત થઈ રહેલા હુમલા અને હત્યાને જોતાં આ નિર્ણય લેવાયો હતો. તેમણે કહ્યું કે નિર્દોષ કૂકી સમુદાયના લોકોની હત્યા કરાઇ છે. તેમનો આરોપ છે કે હૈકી મ્યાનમારથી ઘૂસણખોરી થાય છે અને તે કટ્ટરપંથીઓ સાથે મળીને હુમલા કરે છે. 

શનિવારે પણ ભડકી હતી હિંસા 

ઉલ્લેખનીય છે કે શનિવારે પણ હિંસા થઈ હતી જેમાં એક આધેડ મહિલાઓને ગોળી મારી દેવામાં આવી હતી. ઈમ્ફાલ ઈસ્ટમાં ગોળીબારની ઘટનામાં તે મૃત્યુ પામી હતી. હુમલાખોરોએ મહિલાની હત્યા બાદ તેનો ચહેરો કચડી નાખ્યો હતો. રવિવારે મણિપુર યુનાઇટેડ નાગા કાઉન્સિલે નાગા વિસ્તારોમાં 12 કલાકના બંધની જાહેરાત કરી હતી.  

Share: