ભૂપેન્દ્ર પટેલની સતત બીજી વખત મુખ્યમંત્રી તરીકે પસંદગી, ધારાસભ્ય દળની બેઠકમાં સત્તાવાર જાહેરાત

ભૂપેન્દ્ર પટેલની સતત બીજી વખત મુખ્યમંત્રી તરીકે પસંદગી, ધારાસભ્ય દળની બેઠકમાં સત્તાવાર જાહેરાત

અમદાવાદ, 10 ડિસેમ્બર 2022, શનિવાર

નાણાં મંત્રી કનુ દેસાઈએ ધારાસભ્ય દળના નેતા તરીકે પ્રસ્તાવ મુક્યો હતો. જેમાં સર્વ સંમિતિથી ભુપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે. ભુપેન્દ્ર પટેલ ગુજરાતમાં બીજી વખત મુખ્યમંત્રી તરીકે પસંદ થયા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જંગી બહુમતી મેળવીને જીત હાંસિલ કરી છે. ત્યારે હવે ગાંધીનગર ખાતે નવી સરકાર રચવા માટે ભાજપે કવાયત તેજ કરી દીધી છે. નવી સરકાર રચવા માટે પાર્ટીએ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદીયુરપ્પાની નિરીક્ષકો તરીકે નિમણુંક કરી છે. આજે કમલમમાં ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠક માટે ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સહીત ભાજપના નેતાઓ કમલમ ખાતે પહોંચ્યા હતા. આ બેઠકમાં નાણાં મંત્રી કનુ દેસાઈએ ધારાસભ્ય દળના નેતા તરીકે પ્રસ્તાવ મુક્યો હતો. જેમાં સર્વ સંમિતિથી ભુપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે. ભુપેન્દ્ર પટેલ ગુજરાતમાં બીજી વખત મુખ્યમંત્રી તરીકે પસંદ થયા છે. હવે 12મી ડિસેમ્બરે નવી સરકારની શપથવિધી યોજાશે. 

ગુજરાતમાં 14મી વિધાનસભાનું વિસર્જન કરાયું
ગુજરાતમા 14મી વિધાનસભાનો કાર્યકાળ જાન્યુઆરી મહિના સુધી છે. આ માટે સરકારની મુદ્દત હજુ બાકી હોવાથી 14મી વિધાનસભાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.  ગુજરાતના વર્તમાન સીએમ ભુપેન્દ્ર પટેલે રાજ્યપાલને રાજીનામુ આપ્યા બાદ રાજ્યપાલે 14મી વિધાનસભાના વિસર્જનનો હુકમ જાહેર કર્યો હતો.

શપથવિધીમાં ભાજપના સ્ટાર પ્રચારકો ઉપસ્થિત રહેશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજભવન ખાતે રાજ્યપાલને રાજીનામું આપ્યા બાદ હવે નવી સરકારની શપથવિધી ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ પર યોજાશે. જેની તૈયારીઓ જોરશોરથી કરવામાં આવી રહી છે. તે ઉપરાંત ભાજપમાં પણ કમલમ ખાતે નવી સરકારની શપથવિધીને લઈને તૈયારીઓ શરૂ કરાઈ છે. નવી સરકારમાં કોને મંત્રી પદ મળશે તેની પણ ચર્ચાઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. ત્યારે શપથવિધીમાં વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત ગુજરાતની ચૂંટણીમાં પ્રચાર માટે આવેલા ભાજપના સ્ટાર પ્રચારકો પણ ઉપસ્થિત રહેશે. 

ગુજરાતમાં ભાજપે 40થી વધુ સ્ટાર પ્રચારકોને ઉતાર્યા હતાં
ગુજરાતની ચૂંટણીમાં ભાજપે પ્રચાર માટે કાર્પેટ બોમ્બિંગ કર્યું હતું. આ માટે 40થી વધુ પ્રચારકોએ એક સાથે એક જ સમયે ગુજરાતમાં ચૂંટણી સભાઓ ગજવી હતી. ભાજપે જાહેર કરેલા સ્ટાર પ્રચારકોમાં PM મોદી,ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા, UPના CM યોગી આદિત્યનાથ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ, MPના CM શિવરાજસિંહ ચૌહાણ, આસામના CM હેમંત શર્મા બિસ્વા સહિતના 40 નેતાઓને સ્ટાર પ્રચારકો મેદાનમાં હતાં.

Share: