×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતે 2017માં ઈઝરાયલ પાસેથી ખરીદ્યું હતું પેગાસસ સ્પાઈવેર, 15 હજાર કરોડના સંરક્ષણ સોદાનો ભાગઃ રિપોર્ટ


- જૂન 2019માં યુએનની આર્થિક અને સામાજીક પરિષદમાં ભારતે ઈઝરાયલના સમર્થનમાં વોટ આપીને પેલેસ્ટાઈનને માનવાધિકાર સંગઠનમાં ઓબ્ઝર્વરનો દરજ્જો આપવા વિરૂદ્ધ પગલું ભર્યું

નવી દિલ્હી, તા. 29 જાન્યુઆરી, 2022, શનિવાર

ભારત સરકારે 2017માં ઈઝરાયલનું જાસૂસી સોફ્ટવેર પેગાસસ ખરીદ્યું હતું. અમેરિકી સમાચાર પત્ર ધ ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટમાં આવો ખુલાસો કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, મોદી સરકારે 5 વર્ષ પહેલા ઈઝરાયલ સાથે 2 અબજ ડોલરનો (આશરે 15 હજાર કરોડ રૂપિયા) જે સંરક્ષણ સોદો કર્યો હતો તેમાં પેગાસસ સ્પાઈવેરની ખરીદી પણ સામેલ હતી. આ સંરક્ષણ ડીલમાં ભારતે કેટલાક હથિયારોની સાથે એક મિસાઈલ સિસ્ટમ પણ ખરીદી હતી. 

ન્યૂયોર્ક ટાઈમ્સે એક વર્ષ જેટલા લાંબા સમય સુધી ચાલેલી તપાસ બાદ એવો ખુલાસો કર્યો છે કે, અમેરિકાની તપાસ એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (એફબીઆઈ)એ પણ ઈઝરાયલની એનએસઓ ફર્મ પાસેથી પેગાસસની ખરીદી કરી હતી. એફબીઆઈએ ઘરેલું મોનિટરીંગ માટે ઉપયોગ કરવાની યોજના અંતર્ગત તેનું અનેક વર્ષો સુધી ટેસ્ટિંગ પણ કર્યું પરંતુ ગત વર્ષે એજન્સીએ પેગાસસનો ઉપયોગ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે રિપોર્ટમાં એ સ્પષ્ટતા નથી કરવામાં આવી કે, FBIનો આ નિર્ણય પેગાસસનું રહસ્ય ખુલ્યું તે પહેલા આવ્યો કે બાદમાં. 

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, કઈ રીતે પેગાસસ સ્પાઈવેરનો સમગ્ર વિશ્વમાં છાનામાના મોનિટરીંગ માટે ઉપયોગ કરવામાં આવ્યો. મેક્સિકોએ પત્રકારો અને સરકારના વિરોધીઓ પર નજર રાખવા માટે તેનો ઉપયોગ કર્યો જ્યારે સાઉદી અરેબિયાએ તેના દ્વારા મહિલા અધિકાર કાર્યકરો અને પત્રકાર જમાલ ખશોગીની જાસૂસી કરી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઈઝરાયલના સંરક્ષણ મંત્રાલયે જે દેશોમાં પેગાસસના ઉપયોગની મંજૂરી આપી હતી તેમાં પોલેન્ડ, હંગેરી અને ભારતની સાથે અન્ય કેટલાક દેશો પણ સામેલ હતા. 

ભારતમાં કઈ રીતે આવ્યું પેગાસસ સ્પાઈવેર

સમાચાર પત્ર દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે જુલાઈ 2017માં જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈઝરાયલ પહોંચ્યા હતા ત્યારે તેમનો સંદેશો સ્પષ્ટ હતો કે, ભારત હવે પોતાના પેલેસ્ટાઈન માટે પ્રતિબદ્ધતાના જૂના વલણમાં ફેરફાર કરી રહ્યું છે. તેનું પરિણામ એ આવ્યું કે, પીએમ મોદી અને ઈઝરાયલના તત્કાલીન વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વચ્ચે ખૂબ ઘરોબો જોવા મળ્યો. ભારતે ઈઝરાયલ સાથે આધુનિક હથિયાર અને જાસૂસી સોફ્ટવેર ખરીદવાનો સોદો કરી લીધો. આ સમગ્ર સમજૂતી આશરે 15 હજાર કરોડ રૂપિયાની હતી. તેના કેન્દ્રમાં એક મિસાઈલ સિસ્ટમ અને પેગાસસ જ હતું. 

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તેના થોડા સમય બાદ જ નેતન્યાહૂ પણ ભારતના પ્રવાસે ગયેલા અને તે ઈઝરાયલના વડાપ્રધાન માટે આ દેશનો પહેલો પ્રવાસ હતો. ત્યાર બાદ જૂન 2019માં યુએનની આર્થિક અને સામાજીક પરિષદમાં ભારતે ઈઝરાયલના સમર્થનમાં વોટ આપીને પેલેસ્ટાઈનને માનવાધિકાર સંગઠનમાં ઓબ્ઝર્વરનો દરજ્જો આપવા વિરૂદ્ધ પગલું ભર્યું. આ પહેલી વખત બન્યું હતું જ્યારે ભારતે ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે કોઈ એક દેશને પ્રાથમિકતા આપી હોય. 

જુલાઈ 2021માં પેગાસસ અંગે ખુલાસો

અત્યાર સુધી ભારત કે ઈઝરાયલ તરફથી બંને દેશ વચ્ચે પેગાસસ કરાર થયો હોવાની કોઈ પૃષ્ટિ નથી થઈ. જોકે જુલાઈ 2021માં મીડિયા જૂથોના એક કંસોર્શિયમે આ સ્પાઈવેર વિશ્વના અનેક દેશોમાં પત્રકારો-ઉદ્યોગપતિઓની જાસૂસી માટે ઉપયોગમાં લેવાઈ રહ્યું હોવાનો ખુલાસો થયો હતો. ભારતમાં પણ તેની મદદથી અનેક નેતાઓ અને દિગ્ગજ નામોની જાસૂસીની વાત કરવામાં આવી હતી.