ભારતીય નૌકાદળમાં જોડાશે 11 પેટ્રોલિંગ જહાજો : સંરક્ષણ મંત્રાલયે રૂ.19,600 કરોડના કરાર પર કર્યા હસ્તાક્ષર

ભારતીય નૌકાદળમાં જોડાશે 11 પેટ્રોલિંગ જહાજો : સંરક્ષણ મંત્રાલયે રૂ.19,600 કરોડના કરાર પર કર્યા હસ્તાક્ષર

નવી દિલ્હી, તા.30 માર્ચ-2023, ગુરુવાર

ભારતીય નૌકાદળ માટે આજનો દિવસ મહત્વપૂર્ણ રહ્યો છે. સંરક્ષણ મંત્રાલયે આજે ભારતીય નૌકાદળ માટે 11 પેટ્રોલ જહાજો અને 6 નેક્સ્ટ જનરેશન મિસાઈલ જહાજો ખરીદવા માટે ભારતીય શિપયાર્ડ્સ સાથે રૂ.19,600 કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ગોવા શિપયાર્ડ લિમિટેડ (GSL) અને કોલકાતાના ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE) સાથે કુલ રૂ.9,781 કરોડના ખર્ચે 11 નેક્સ્ટ જનરેશન પેટ્રોલ જહાજો ખરીદવા માટે કરાર કરાયો છે.

સંરક્ષણ સામગ્રીનું ઉત્પાદન કરતી કંપનીઓને અપાયા ખરીદીના ઓર્ડર

કેન્દ્ર સરકારના આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ સંરક્ષણ સામગ્રીના ઉત્પાદન સાથે જોડાયેલી કંપનીઓને મોટા પાયે ખરીદીના ઓર્ડર મળ્યા છે. સંરક્ષણ મંત્રાલયે બુધવારે ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) સાથે 2 અને ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL) સાથે 1 કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ત્રણેય સોદા લગભગ રૂ.5,400 કરોડના છે. પ્રથમ સોદો BEL ગાઝિયાબાદ સાથે થયો છે, જેમાં ઓટોમેટેડ એર ડિફેન્સ કંટ્રોલ એન્ડ રિપોર્ટિંગ સિસ્ટમની ખરીદાશે. પ્રોજેક્ટ આકાશતીર નામના આ ઉપકરણો આર્મી માટે રૂ.1,982 કરોડમાં ખરીદાશે.

HAL પાસેથી 6,828 કરોડમાં એરક્રાફ્ટ ખરીદાશે

જાહેર ક્ષેત્રના સંરક્ષણ સાધનોનું ઉત્પાદન કરતી સંસ્થા હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) ને રૂ.6,828 કરોડના ખરીદ ઓર્ડર મળ્યા છે. HAL આ રકમથી 70 એચટીટી-40 એરક્રાફ્ટનું ઉત્પાદન કરશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ ડીલને મંજૂરી આપી દીધી છે. કેન્દ્ર સરકારના લેટેસ્ટ પરચેઝ ઓર્ડરથી HALના લગભગ ત્રણ હજાર અધિકારીઓ અને કર્મચારીઓને કામ મળશે.

Share: