ભારતમાં નિર્મિત કફ સિરપથી વધતા મૃત્યુ સામે એક્શન, હવે લેબ ટેસ્ટિંગ બાદ જ નિકાસ કરી શકાશે

ભારતમાં નિર્મિત કફ સિરપથી વધતા મૃત્યુ સામે એક્શન, હવે લેબ ટેસ્ટિંગ બાદ જ નિકાસ કરી શકાશે

image : Envato 

ભારતીય કંપનીઓએ બનાવેલી કફ સિરપ પીવાથી ગામ્બિયા અને ઉઝ્બેકિસ્તાનમાં ડઝનેક બાળકોના મૃત્યુની ફરિયાદો આવ્યા બાદ આવા મામલા ફરી ન બને તે માટે સરકારે મોટો નિર્ણય કર્યો છે. હવે ભારતમાં બનેલી કફ સિરપની નિકાસ કરતા પહેલા તેનું સરકારી લેબમાં ટેસ્ટિંગ કરાશે. જો તે યોગ્ય જણાશે તો તેને સર્ટિફિકેટ મળશે અને તેના આધારે જ તેને એક્સપોર્ટ કરવાની મંજૂરી મળશે. 

ક્યારથી આ નિયમ લાગુ થશે? 

માહિતી અનુસાર કફ સિરપના ટેસ્ટિંગનો નવો નિયમ 1 જૂનથી લાગુ થશે. ગત વર્ષે ગામ્બિયા અને ઉઝ્બેકિસ્તાનમાં ડઝનેક બાળકો ભારતમાં બનેલી કફ સિરપ પીવાને લીધે મૃત્યુ પામ્યાના અહેવાલ આવ્યા હતા. ત્યારથી સરકાર આ અંગે નવી નીતિ બનાવવા વિચારી રહી હતી અને તે હેઠળ જ આ નિણર્ય કરાયો હતો. 

WHOએ પણ સવાલ ઊઠાવ્યા હતા 

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) એ પણ ભારતમાં નિર્મિત કફ સિરપની ગુણવત્તા સામે સવાલો ઊઠાવ્યા હતા. વિદેશ વેપાર મહાનિર્દેશક વતી જારી નોટિફિકેશનમાં જણાવાયું હતું કે કફ સિરપની નિકાસ ત્યારે જ થઈ શકશે જ્યારે તેનું સરકારી લેબમાં ટેસ્ટિંગ કરી લેવાશે. ટેસ્ટિંગ બાદ એક સર્ટિફિકેટ જારી કરાશે. આ નવો નિયમ 1 જૂન 2023થી લાગુ પડશે. આ ટેસ્ટિંગ ચંડીગઢ, કોલકાતા, ચેન્નઈ, હૈદરાબાદ, મુંબઈ અને ગુવાહાટીમાં આવેલી લેબમાં કરાવી શકાશે.  

Share: