'ભારતના લોકો જ ભાજપને હરાવશે', રાહુલ ગાંધીએ ન્યૂયોર્કમાં કર્યો મોટો દાવો

'ભારતના લોકો જ ભાજપને હરાવશે', રાહુલ ગાંધીએ ન્યૂયોર્કમાં કર્યો મોટો દાવો

રાહુલ ગાંધી તેમના અમેરિકા પ્રવાસ દરમિયાન કેન્દ્રની ભાજપ સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા છે. હાલમાં જ તેમનું એક લેટેસ્ટ નિવેદન સામે આવ્યું છે જેમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, જે રીતે કોંગ્રેસ પાર્ટીએ કર્ણાટકમાં બીજેપીને હરાવ્યું તે જ રીતે કોંગ્રેસ તેલંગાણા અને અન્ય રાજ્યોમાં બીજેપીને હરાવશે. રાહુલ ગાંધીએ કહ્યું કે, માત્ર કોંગ્રેસ પાર્ટી જ નહીં પરંતુ દેશની જનતા ભાજપની નફરતપૂર્ણ વિચારધારાને હરાવી દેશે.

કર્ણાટક બાદ કોંગ્રેસ હવે ભાજપને તેલંગાણામાં પણ હરાવશે 

વોશિંગ્ટન અને સાન ફ્રાન્સિસ્કો બાદ રાહુલ ગાંધી ન્યૂયોર્ક પહોંચ્યા છે. આજે ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ-યુએસએ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘અમે કર્ણાટકમાં એ કરી બતાવ્યું છે કે, અમે ભાજપને હરાવી શકીએ છીએ. ભાજપને ફક્ત હરાવ્યું એટલું જ નહીં, તેને ધૂળ ચટાવી દીધી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ‘કર્ણાટક ચૂંટણીમાં ભાજપે તમામ ઉપાયો કર્યા. તેમની પાસે મીડિયા, અમારા કરતા 10 ગણા પૈસા, એજન્સીઓ હતી પરંતુ તેમ છતાં અમે તેમને હરાવી દીધા. હું કહેવા માંગુ છું કે, હવે અમે તેમને તેલંગાણાની ચૂંટણીમાં પણ હરાવીશું.

‘ભારતની જનતા ભાજપને હરાવી દેશે’: રાહુલ ગાંધી 

રાહુલ ગાંધીએ કહ્યું કે, માત્ર કોંગ્રેસ પાર્ટી જ ભાજપને હરાવશે એવું નથી પરંતુ ભારતની જનતા, મધ્યપ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન અને છત્તીસગઢના લોકો જ ભાજપને હરાવશે. ભારત સમજી ચૂક્યું છે કે, જે રીતે ભાજપ સમાજમાં નફરત વધારી રહી છે તેનાથી દેશ આગળ વધી શકે તેમ નથી. રાહુલ ગાંધીએ 2024ની લોકસભા ચૂંટણી જીતવાનો દાવો પણ કર્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે, વિપક્ષ એકજૂથ છે. આ વિચારધારાની લડાઈ છે, એક તરફ ભાજપની વિભાજનકારી વિચારધારા છે અને બીજી બાજુ કોંગ્રેસની એકતા અને પ્રેમની વિચારધારા છે.

Share: