ભાજપની વેગવંતા પ્રચારની તૈયારી : આ દિગ્ગજો ગુજરાતમાં ગજવશે ચૂંટણી સભાઓ

ભાજપની વેગવંતા પ્રચારની તૈયારી : આ દિગ્ગજો ગુજરાતમાં ગજવશે ચૂંટણી સભાઓ

અમદાવાદ, તા. 11 નવેમ્બર 2022, શુક્રવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપે પ્રથમ તબક્કાના ઉમેદવારોના નામોની યાદી જાહેર કરી દીધી છે. ચૂંટણીને લઈને મોટાભાગના ઉમેદવારોના નામ સામે આવી ગયા છે, ત્યારે બેઠકો પર નક્કી થયેલા ઉમેદવારો સહિત તમામ પક્ષો પ્રચારમાં લાગી ગયા છે. બીજી તરફ ભાજપ પણ પ્રચારમાં કોઈ કચાશ ન રહે તે માટે કેન્દ્રીય કર્મચારીઓની ફોજ ઉતારવાની તૈયારીઓ કરી રહી છે. રાજ્યમાં વિવિધ સ્થળોએ ભાજપ મોટા દિગ્ગજો ઉતારવા અને સભાઓ ગજવી મતદારોને રિઝવવા સંપૂર્ણ પ્રયાસ કરશે.

ભાજપ વેગવંતો પ્રચાર કરવા આ દિગ્ગજને મેદાનમાં ઉતારશે

આ વખતે આમ આદમી પાર્ટીનો પ્રવેશ થતા હવે ગુજરાતની ચૂંટણી ખૂબ જ રસપ્રદ બનવાના એંધાણ છે, ત્યારે ભાજપ પણ ચૂંટણી પ્રચાર માટે 10થી વધુ કેન્દ્રીય નેતાઓની ફોજ ઉતારી સભાઓ ગજવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ ગુજરાતની ચૂંટણીને લઈ સક્રિય થઈ ગયા છે. તેઓ રાજય્માં 20થી વધુ સભાઓ કરશે. તો કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, નીતિન ગડકરી, અર્જુન મુંડા, સ્મૃતિ ઈરાની, ધર્મેન્દ્ર પ્રધાન, ભુપેન્દ્ર યાદવ પણ ગુજરાતમાં સભાઓ ગજવતા જોવા મળશે. તો અન્ય રાજ્યોમાંથી પણ નેતાઓ ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં ધામા નાખશે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંગ ચૌહાણ, ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ પણ ગુજરાતમાં આવી ભાજપ માટે પ્રચાર કરશે. હેમા માલિની અને રવિ કિશન મનોજ તિવારીને પણ ભાજપ ગુજરાતમાં ઉતારી વિવિધ સ્થળોએ સભાઓ ગજવશે. આ ચૂંટણીમાં ભાજપ 35થી વધુ સ્ટાર દિગ્ગજોને ચૂંટણી મેદાનમાં ઉતારી સભાઓ ગજવશે અને રાજ્ય તેમજ કેન્દ્ર સરકારે કરેલી કામગીરીઓને પ્રજા સુધી પહોંચાડી મત મેળવવાના પ્રયાસો કરશે.

Share: