પીએમ મોદી 28મેએ સંસદ ભવનના ઉદઘાટન સાથે 60000 શ્રમયોગીઓનું સન્માન કરશે : અમિત શાહ

પીએમ મોદી 28મેએ સંસદ ભવનના ઉદઘાટન સાથે 60000 શ્રમયોગીઓનું સન્માન કરશે : અમિત શાહ
Image : Twitter

મોદી સરકાર 9 વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે. આ ખાસ અવસર પર ગૃહમંત્રી અમિત શાહ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે જેમાં તેઓ 9 વર્ષમાં સરકારની ઉપલબ્ધિઓ જણાવી રહ્યા છે. આ દરમિયાન તેમણે કહ્યું કે નવું સંસદ ભવન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશીનો પુરાવો છે, તે રેકોર્ડ સમયમાં પૂર્ણ થયું છે. તેમણે કહ્યું કે પીએમ મોદી 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન તેઓ 60 હજાર શ્રમ યોગીઓનું સન્માન પણ કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પત્રકાર પરિષદને સંબોધતા મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આગામી 28મેના રોજ વડાપ્રધાન મોદી નવા સંસદ ભવનનું ઉદઘાટન કરશે. તેમણે કહ્યું કે તેની સાથે સાથે પીએમ મોદી 60000 શ્રમયોગીઓનું સન્માન પણ કરશે. આ નવું સંસદ ભવન પીએમ મોદીની દુરદર્શિતાનું જ પરિણામ છે. જ્યારે બીજી બાજુ વિપક્ષો તરફથી આ સંસદ ભવનના ઉદઘાટન સમારોહનો બહિષ્કાર કરવાના અહેવાલ આવી રહ્યા છે. જેમાં કોંગ્રેસ સહિત ટોચના વિપક્ષી દળો સામેલ છે. ગૃહમંત્રી અમિત શાહે આ દરમિયાન સેંગોલનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે સેંગોલનું આપણા ઈતિહાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. આપણા પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ પણ સેંગોલને સ્વીકાર્યું હતું. સેંગોલ અંગ્રેજોથી સત્તા મળવાનું પ્રતીક છે.

ઐતિહાસિક પરંપરાને પુનર્જીવિત કરવામાં આવશે – અમિત શાહ

અમિત શાહે કહ્યું કે, ઉદ્ઘાટન સમારોહમાં એક ઐતિહાસિક પરંપરાને પુનર્જીવિત કરવામાં આવશે, જેની પાછળ યુગોથી જોડાયેલી પરંપરા છે. તેણે કહ્યું કે તેને તમિલમાં સેંગોલ કહેવામાં આવે છે જેનો શાબ્દિક અર્થ થાય છે સંપત્તિથી સંપન્ન. તેમણે કહ્યું કે, 14 ઓગસ્ટ, 1947ના રોજ એક અનોખી ઘટના બની હતી. આજે 75 વર્ષ બાદ દેશના મોટાભાગના નાગરિકો આ વાતથી વાકેફ નથી. સેંગોલે આપણા ઇતિહાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ સેંગોલ સત્તાના સ્થાનાંતરણનું પ્રતીક બની ગયું. આ અંગેની માહિતી જ્યારે પીએમ મોદીને મળી તો તેની સંપૂર્ણ તપાસ કરાવી હતી. આ તપાસ બાદ નક્કી થયું કે તેને દેશ સમક્ષ મુકવામાં આવે. આ માટે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનનો દિવસ પસંદ કરવામાં આવ્યો હતો.

Share: