પાકિસ્તાન: તોશાખાના કેસમાં ઈમરાન ખાનને મોટી રાહત, નીચલી કોર્ટની કાર્યવાહી પર રોક લગાવાઈ

પાકિસ્તાન: તોશાખાના કેસમાં ઈમરાન ખાનને મોટી રાહત, નીચલી કોર્ટની કાર્યવાહી પર રોક લગાવાઈ

Image: Twitter

પાકિસ્તાનમાં જ્યારથી ઈમરાન ખાનની ધરપકડ થઈ હતી ત્યારથી હોબાળો મચી ગયો હતો. આ દરમિયાન ગઈકાલે જ ત્યાંની સુપ્રીમકોર્ટે ઈમરાન ખાનને તાત્કાલિક ધોરણે મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો અને તેના પછી ઈમરાન ખાનને આ મામલે હાઈકોર્ટમાં અપીલ કરવા કહ્યું હતું. આ મામલે આજે સુનાવણી કરતાં હાઈકોર્ટે ઈમરાન ખાનને મોટી રાહત આપી છે. તોશાખાના કેસમાં સુનાવણી કરતાં ઈસ્લામાબાદની હાઈકોર્ટે નીચલી અદાલતમાં ચાલી રહેલી કાર્યવાહી પર રોક લગાવી દીધી છે.

તોશાખાનાનો મામલો શું છે 

પાકિસ્તાની કાયદા અનુસાર, વિદેશી રાજ્યના મહાનુભાવો તરફથી મળેલી કોઈપણ ભેટ એ દેશની સંપત્તિ છે અને તેને રાજ્યની ડિપોઝિટરી એટલે કે તોશાખાનામાં રાખવાની હોય છે. જો રાજ્યના વડા ભેટને પોતાની પાસે રાખવા માગે છે, તો તેણે તેની સંપૂર્ણ કિંમત ચૂકવવી પડશે અને તે હરાજી પ્રક્રિયા દ્વારા નક્કી કરવામાં આવે છે. આ ભેટો કાં તો તોશાખાનામાં જમા રાખવામાં આવે છે અથવા તો તેની હરાજી કરી શકાય છે અને તેના દ્વારા મળેલી રકમ રાષ્ટ્રીય તિજોરીમાં જમા કરવામાં આવે છે.

ઈમરાન ખાન પર આ છે આરોપ

વર્ષ 2018માં પાકિસ્તાનમાં સત્તામાં આવેલા ઈમરાન ખાનને તેમની સત્તાવાર મુલાકાતો દરમિયાન લગભગ 14 કરોડ રૂપિયાની કિંમતની 58 ભેટો મળી હતી. આ ભેટો તોશાખાનામાં જમા કરાવવામાં આવી હતી પરંતુ બાદમાં પીએમ ઈમરાન ખાને તોશાખાનામાંથી સસ્તા ભાવે ખરીદ્યા અને પછી મોંઘા ભાવે બજારમાં વેચી દીધા. સત્તા છોડ્યા બાદ તેના રહસ્યોનો પર્દાફાશ થયો અને કેસ નોંધવામાં આવ્યો.

Share: