પાકિસ્તાને 3 હજાર શીખોને આપ્યા વીઝા, જઈ શકશે નનકાના સાહિબ

પાકિસ્તાને 3 હજાર શીખોને આપ્યા વીઝા, જઈ શકશે નનકાના સાહિબ


– ભારતીય તીર્થયાત્રી ગુરૂદ્વારા નનકાના સાહિબ અને ગુરૂદ્વારા કરતારપુર સાહિબ સહિત વિભિન્ન ગુરૂદ્વારાઓની યાત્રા કરી શકશે

નવી દિલ્હી, તા. 13 નવેમ્બર, 2021, શનિવાર

પાકિસ્તાન દ્વારા શુક્રવારે કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે 17થી 26 નવેમ્બર દરમિયાન ચાલનારા ગુરૂ નાનક દેવજીના 552મા પ્રકાશ પર્વમાં સહભાગી બનવા માટે તેણે 3 હજાર ભારતીય શીખ શ્રદ્ધાળુઓને વીઝા આપ્યા છે. શીખ યાત્રિકો નનકાના સાહિબ ખાતે ગુરૂદ્વારા જન્મ સ્થળની મુલાકાત લઈ શકશે. 

પાકિસ્તાનના ઉચ્ચાયોગે ટ્વિટમાં લખ્યું હતું કે, ‘ભારત માટે પાકિસ્તાન ઉચ્ચાયોગે બાબા ગુરૂ નાનકની 552મી જયંતિની પૂર્વ સંધ્યાએ ભારતીય શીખ યાત્રિકો માટે આશરે 3,000 વીઝા આપ્યા. ભારતમાં પાકિસ્તાન ઉચ્ચાયોગ શીખ ધર્મના સંસ્થાપકની 552મી જયંતિ પર ભારત અને દુનિયાભરમાં શીખ સમુદાયને હાર્દિક શુભેચ્છા પાઠવે છે.’

ધાર્મિક સ્થળોની યાત્રા પર ભારત અને પાકિસ્તાન વચ્ચે 1974ના દ્વિપક્ષીય પ્રોટોકોલની જોગવાઈ અંતર્ગત વીઝા જાહેર કરવામાં આવ્યા છે. ભારતીય તીર્થયાત્રી ગુરૂદ્વારા નનકાના સાહિબ અને ગુરૂદ્વારા કરતારપુર સાહિબ સહિત વિભિન્ન ગુરૂદ્વારાઓની યાત્રા કરી શકશે. 

Share: