પાકિસ્તાનના મિત્ર તૂર્કેઈએ PM શાહબાજ શરીફનું કર્યું અપમાન ?

પાકિસ્તાનના મિત્ર તૂર્કેઈએ PM શાહબાજ શરીફનું કર્યું અપમાન ?

અંકાલા, તા.09 ફેબ્રુઆરી-2023, ગુરુવાર

તુર્કેઈ અને સીરિયામાં સોમવારે આવેલા ભૂકંપે વિનાશ વેર્યો છે. આ વિનાશ બાદ વિશ્વભરના દેશોએ સીરિયા અને તુર્કેઈને મદદ કરવાની ખાતરી આપી રહ્યા છે. વિશ્વભરના દેશો રાહત સામગ્રી અને બચાવ ટુકડી મોકલી રહ્યા છે. ભારત પણ ‘ઓપરેશન દોસ્ત’ હેઠળ બંને દેશોની મદદ કરી રહ્યું છે. દરમિયાન પાકિસ્તાને આ આફતને તકમાં બદલાનો પ્રયાસ કર્યો, જેનો વળતો જવાબ મળ્યો છે.

પાક. PMને તૂર્કેઈએ આપ્યો ઝટકો

પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાજ શરીફે તુર્કેઈ સાથે પોતાના દેશની એકતા બતાવવા રાજધાની અંકારાનો પ્રવાસ કરવાની જાહેરાત કરી, જોકે રિપોર્ટ મુજબ ભૂકંપ પ્રભાવિત તૂર્કેઈએ પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય અને રાજદ્વારી સ્તરે ઝટકો આપી શાહબાજ શરીફની મહેમાનગતી કરવાનો ઈન્કાર કરી દીધો છે. જેના કારણે પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાજ શરીફે તેમની તુર્કેઈ મુલાકાત રદ કરવી પડી છે.

તુર્કેઈએ મહેમાનગતી કરવાનો કર્યો ઈન્કાર

વિનાશકારી ભૂકંપના બીજા દિવસે પાકિસ્તાનના સૂચના મંત્રી મરિયમ ઔરંગજેબે ટ્વિટર પર નિવેદન જારી કરી કહ્યું હતું કે, “વડાપ્રધાન શાહબાજ શરીફ આવતીકાલે સવારે તૂર્કેઈની મુલાકાત માટે અંકારા જવા રવાના થશે. આ દરમિયાન તેઓ ભૂકંપથી થયેલી જાનહાની અને તુર્કેઈના લોકો માટે રાષ્ટ્રપતિ અર્દોઆન પ્રત્યે સંવેદના વ્યકત્ત કરશે. આ કારણે જ ગુરુવારે યોજાનાર એપીસીની બેઠકને સ્થગિત કરવામાં આવી રહી છે. સાથી પક્ષો સાથે ચર્ચા કર્યા બાદ નવી તારીખની જાહેરાત કરાશે.”

જોકે મરિયમ ઔરંગજેબના ટ્વિટના કેટલાક કલાકો બાદ તૂર્કેઈના વડાપ્રધાનના પૂર્વ વિશેષ સહાયક આજમ જમીલે ટ્વિટ કરી પાકિસ્તાનના PM શાહબાજ શરીફની મેજબાની કરવાનો ઈન્કાર કરી દીધો. તેમણે ટ્વિટર પર લખ્યું કે, ‘આ સમયે તુર્કેઈ માત્રને માત્ર તેમના દેશના નાગરિકોની સંભાળ રાખવા ઈચ્છે છે, તેથી મહેરબાની કરી રાહત કર્મચારીઓને જ મોકલો.’

પાકિસ્તાને તુર્કેઈની યાત્રા રદ થવાનું કારણ જણાવ્યું

ભૂકંપ બાદ રાહત કામગીરી અને ખરાબ હવામાનના કારણે પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાજ શરીફની તુર્કેઈ યાત્રા રદ થવાનું કારણ જણાવ્યું છે. પાકિસ્તાનના સૂચના મંત્રી મરિયમ ઓરંગજેબે કહ્યું કે, ‘વિનાશક ભૂકંપ બાદ ચાલી રહેલા રાહત કાર્યને ધ્યાને રાખી પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફેની તૂર્કેઈ મુલાકાત સ્થગિત કરી દેવાઈ છે. પ્રધાનમંત્રીએ પોતાના ભાઈ તુર્કેઈના ભૂકંપ પીડિતો માટે તેમજ આ કપરા સમયમાં સાથ આપવા પ્રધાનમંત્રી રાહત ભંડોળ સ્થાપવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત કેબિનેટે રાહત ફંડમાંથી એક મહિનાનું વેતન ડોનેટ કરવાની પણ જાહેરાત કરી છે. વડાપ્રધાને આપણા ભાઈ દેશ તૂર્કેઈને ઉદારદીલે મદદ કરવા અપીલ કરી છે.’

પાકિસ્તાને પણ તુર્કેઈને રાહત સામગ્રી મોકલી

પાકિસ્તાને પણ ભૂકંપ પ્રભાવિત તૂર્કેઈ અને રશિયાને મદદ કરવા 21 ટનથી વધુ રાહત સામગ્રી મોકલી છે. પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (PIA)ના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, એનડીએમએ તરફથી પીઆઈએના બે એરક્રાફ્ટ બુધવારે સવારે ઈસ્લામાબાદથી ઈસ્તંબુલ અને દમિશ્ક માટે રવાના કરાયા છે.

Share: