દેશનું નામ ઈન્ડિયાને બદલે ભારત કરો, ગુલામીનો અહેસાસ થાય છે : ગુજરાતના સાંસદની માંગ

દેશનું નામ ઈન્ડિયાને બદલે ભારત કરો, ગુલામીનો અહેસાસ થાય છે : ગુજરાતના સાંસદની માંગ
image- loksabha tv

નવી દિલ્હી, 19 ડિસેમ્બર 2022, સોમવાર

હાલમાં સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે એક તરફ તવાંગના મુદ્દે સંસદમાં વિપક્ષનું હલ્લાબોલ છે તો બીજી બાજુ સત્તાપક્ષના સાંસદો દ્વારા સરકાર પાસે કેટલીક માંગ કરવામાં આવી છે. આણંદના સાંસદ મિતેષ પટેલે લોકસભાન સત્ર દરમિયાનના પ્રશ્નોત્તરી કાળમાં દેશનું નામ ઈન્ડિયા નહીં પણ ભારત રાખવા માટે અપીલ કરી છે. તેમણે લોકસભામાં કહ્યું હતું કે, ભારતની આઝાદીના 75 વર્ષ પછી પણ આ નામમાંથી ગુલામીનો અહેસાસ થઈ રહ્યો છે. જેથી દેશનું નામ ઈન્ડિયા નહીં પણ ભારત રાખવામાં આવે. 

અંગ્રેજોના શાસનથી આપણો દેશ ઈન્ડિયાના નામે ઓળખાય છે
લોકસભાના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન મિતેષ પટેલ સદનમાં બોલી રહ્યાં હતાં. ત્યારે તેમણે કહ્યું હતું કે, આપણો દેશ ભારત, ભારત વર્ષ,  હિંદુસ્તાન, આર્યાવર્ત, હિન્દ અને ઈન્ડિયા સહિતના નામથી ઓળખાય છે. અંગ્રેજોના શાસનથી ઈન્ડિયા ના નામે આપણો દેશ ઓળખાવા લાગ્યો પરંતુ આ નામથી હજી પણ ગુલામીનો અહેસાસ થઈ રહ્યો છે.

ભારત નામથી ગુલામીનું વધુ એક પ્રતિક દૂર થશે
વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી ગુલામીના તમામ પ્રતિકોનો નાશ કરવાનું આહ્વાન કર્યું હતું. તે ઉપરાંત કેટલાંક આવા પ્રતિકોનો નાશ કરી દેવાયો છે. તમામ દસ્તાવેજો પર ઈન્ડિયા નામની જગ્યાએ ભારત અથવા તો ભારત વર્ષ નામનો ઉપયોગ થવાથી ગુલામીના વધુ એક પ્રતિકથી દેશ ધીમે ધીમે મુક્ત થઈ જશે. હું સદનના માધ્યમથી સરકારને આ નામ બદલવા માટે વિનંતી કરૂ છું. 

Share: