જૈનોની મોટી જીત : સમ્મેદ શિખરજી તીર્થ સ્થળ જ રહેશે, કોઈ બદલાવ નહીં, કેન્દ્ર સરકારે જાહેર કર્યુ નોટિફેકશન

જૈનોની મોટી જીત : સમ્મેદ શિખરજી તીર્થ સ્થળ જ રહેશે, કોઈ બદલાવ નહીં, કેન્દ્ર સરકારે જાહેર કર્યુ નોટિફેકશન

રાંચી, તા.05 જાન્યુઆરી-2023, ગુરુવાર

ઝારખંડમાં શ્રી સમ્મેદ શિખર તીર્થસ્થળ જ રહેશે. કેન્દ્ર સરકારે પોતાના અધિકારોનો ઉપયોગ કરીને નોટિફિકેશન જારી કર્યું છે. મધ્યપ્રદેશના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) મંત્રી ઓ.પી.સકલેચાએ કહ્યું કે, CM શિવરાજ સિંહે અગાઉથી જ આ મુદ્દે PM નરેન્દ્ર મોદી સાથે વાત કરી ચૂક્યા છે. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિર્દેશ પર હવે શ્રી સમ્મેદ શિખર તીર્થસ્થળ જ રહેશે, આ સ્થળમાં કોઈ ફેરફાર નહીં કરાય. તેમણે વધુમાં કહ્યું કે, આ તીર્થસ્થળમાં કોઈપણ બાંધકામ કાર્ય નહીં થાય અને સ્થળની પવિત્રતા જાળવી રાખવા માટે અહીં હોટલ, ટ્રેકિંગ અને નોન-વેજ પર પ્રતિબંધ રહેશે.

સમ્મેદ શિખર દેશભરના લોકો માટે પવિત્ર સ્થાન : સકલેચા

મંત્રી ઓ.પી.સકલેચાએ કહ્યું કે, સમ્મેદ શિખર માત્ર જૈન સમાજ માટે જ નહીં, પરંતુ આખા દેશ માટે પવિત્ર સ્થાન છે. તેમણે કહ્યું કે, ‘એવું નક્કી કરાયું છે કે એક બોર્ડની રચના કરાશે, જેમાં બે લોકો જૈન સમાજ, સ્થાનિક પ્રતિનિધિ અને સરકારના પ્રતિનિધિ હશે. જે પણ નિર્ણય કરવાનો હશે તે બોર્ડ દ્વારા કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, આ સ્થળ યાત્રાધામ જ રહેશે, પ્રવાસન સ્થળનો દરજ્જો પાછો ખેંચી લેવાયો છે.

Share: