જમ્મુ-કાશ્મીર: આતંકી હુમલા બાદ સેના એક્શનમાં, 570 લોકોની ધરપકડ કરાઈ

જમ્મુ-કાશ્મીર: આતંકી હુમલા બાદ સેના એક્શનમાં, 570 લોકોની ધરપકડ કરાઈ

શ્રીનગર, તા. 10 ઓક્ટોબર 2021 રવિવાર

જમ્મુ-કાશ્મીરમાં લઘુમતી પર આતંકી હુમલાની ઘટના સામે આવ્યા બાદ સેનાએ મોટી કાર્યવાહી કરી છે. ખીણમાં કેટલાક પથ્થરબાજો અને ભારત વિરોધી તત્વોની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી છે. લગભગ 70 યુવાઓની શ્રીનગરમાં ધરપકડ કરાઈ છે. એક સપ્તાહમાં 5 સામાન્ય નાગરિકોની હત્યાની ઘટના સામે આવ્યા બાદ ખીણમાં કાર્યવાહી તેજ કરી દેવાઈ છે. સમગ્ર કાશ્મીરમાં 570 લોકોની ધરપકડ કરાઈ છે.

પ્રદેશમાં એક સપ્તાહમાં 5 નિર્દોષ નાગરિકોને લક્ષ્ય બનાવીને હત્યા કર્યા બાદ દિલ્હીથી લઈને શ્રીનગર સધી સનસની મચી ગઈ છે. જમ્મુ-કાશ્મીરના એલજી મનોજ સિન્હાએ ગૃહ મંત્રી અમિત શાહની સાથે મુલાકાત કરી તો ગૃહ મંત્રાલયે દેશની સુરક્ષા એજન્સીઓના ટોપ એક્સપર્ટને કાશ્મીર મોકલી દેવાયા છે. આ દરમિયાન સીઆરપીએફ પર પણ એક સામાન્ય નાગરિકનો જીવ લેવાનો આરોપ લાગ્યો છે. 

મોટા અભિયાનની તૈયારી

આતંકવાદીઓ વિરૂદ્ધ તાજા અભિયાન શરૂ થવાની સંભાવના છે. આમ તો આતંકીઓ વિરૂદ્ધ નિયમિત અભિયાન કોવિડ લહેર દરમિયાન પણ ચાલુ રહ્યુ, પરંતુ હવે નિર્દોષ નાગરિકોની હત્યા કરનાર વિરૂદ્ધ એક મોટો હુમલો શરૂ થવાની આશા છે.

આ વર્ષે કાશ્મીરમાં 25 નાગરિકોની હત્યા થઈ

આંકડા અનુસાર આ વર્ષે કાશ્મીરમાં ઓછામાં ઓછા 25 નાગરિક માર્યા ગયા. આ 25માંથી ત્રણ બિન સ્થાનિક હતા, બે કાશ્મીરી પંડિત હતા અને 18 મુસલમાન હતા. સૌથી વધારે હુમલા શ્રીનગરમાં થયા, જ્યાં 10 એવી ઘટનાઓ ઘટી. જે બાદ પુલવામા અને અનંતનાગમાં ચાર-ચાર ઘટનાઓ ઘટી છે. મળતી માહિતી અનુસાર લઘુમતી દહેશતની સ્થિતિમાં છે અને કેટલાક 50-60 બિન-પ્રવાસી કાશ્મીરી પંડિત પરિવારોના આગામી 24 કલાકમાં દક્ષિણ કાશ્મીરથી જમ્મુ જવાની સંભાવના છે. સૂત્રો અનુસાર આમાંથી મોટાભાગના પરિવારોની પાસે જમ્મુમાં આવાસ છે.

Share: