જમ્મુ-કાશ્મીરના બે જિલ્લામાં CRPFના વધુ 1800 જવાનો તૈનાત કરાશેઃ કેન્દ્રનો નિર્ણય

જમ્મુ-કાશ્મીરના બે જિલ્લામાં CRPFના વધુ 1800 જવાનો તૈનાત કરાશેઃ કેન્દ્રનો નિર્ણય

જમ્મુ-કાશ્મીર, 4 જાન્યુઆરી 2023 બુધવાર

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હૂમલાઓમાં નાગરીકોની હત્યાઓને લઈને CRPFની વધુ 18 કંપનીઓ(1800 સૈનિક) મોકલવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે. આ દળને પુંછ અને રજૌરી જિલ્લામાં નિયુક્ત કરવામાં આવશે. જમ્મુ કાશ્મીરના રજૌરી જિલ્લામાં બે આતંકવાદી ઘટનાઓમાં બે ભાઈ બહેન સહિત છ લોકોના મોત થયાં હતાં. 

વિસ્ફોટમાં બે ભાઈ બહેન સહિત કુલ છ લોકોના મોત નિપજ્યાં
સોમવારે રજૌરી જિલ્લામાં આતંકવાદીઓના આઈઈડી વિસ્ફોટમાં બે ભાઈ બહેન સહિત કુલ છ લોકોના મોત નિપજ્યાં હતાં. જ્યારે રવિવારે સાંજે રજૌરી જિલ્લામાં ત્રણ ઘરોમાં ગોળીબાર કર્યો હતો. જેમાં ચાર નાગરિકોના મોત નિપજ્યાં હતાં અને છ લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. મંગળવારે મૃતકોનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો. આ આતંકી હૂમલામાં ચાર વર્ષનો વિહાન શર્મા, 16 વર્ષની સમીક્ષા શર્મા, સતિષ કુમાર, દીપક કુમાર, પ્રીતમલાલ અને શિશુપાલનું મોત થયું હતું. 

આતંકવાદીઓની જાણકારી આપનારને 10 લાખનું ઈનામ
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મંગળવારે તમામ લોકોના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે, રજૌરી શહેર અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. હત્યાઓમાં સામેલ આતંકવાદીઓને પકડવા માટે નાકાબંધી અને તપાસ અભિયાન શરૂ કરી દેવાયું છે. પોલીસે આ હૂમલામાં સામેલ આતંકવાદીઓની જાણકારી આપનારને 10 લાખનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. આ હૂમલાના વિરોધમાં કિશ્તવાડ જિલ્લામાં મંગળવારે બંધ પાળવામાં આવ્યો હતો. 

Share: