ચંદ્રયાન -3 ઉડવા માટે તૈયાર : 12થી 19, જુલાઇ દરમિયાન ચંદ્ર યાત્રાએ જશે

ચંદ્રયાન -3 ઉડવા માટે તૈયાર : 12થી 19, જુલાઇ દરમિયાન ચંદ્ર યાત્રાએ જશે


– ઇસરોના ચેરમેનની મહત્વની જાહેરાત 

– વિક્રમ લેન્ડર – પ્રજ્ઞાન રોવર નામ યથાવત  :  ચંદ્રના દક્ષિણ ધુ્રવ પર ઉતરશે 

બેંગલુરુ : ભારતનું  ચંદ્રયાન -૩ પૃથ્વીના એક માત્ર ઉપગ્રહ ચંદ્રના વિશિષ્ટ સંશોધનાત્મક અભ્યાસ માટે અફાટ અંતરીક્ષમાં ઉડવા તૈયાર થઇ ગયું છે. ચંદ્રયાન -૩  ખાસ પ્રકારનું અને આધુનિક ટેકનોલોજી સાથેનું સ્પેસક્રાફ્ટ(અવકાશયાન)  છે.

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો)ના ચેરમેન એસ.સોમનાથે  આજે એવી જાહેરાત કરી છે  કે ચંદ્રયાન -૩ ૨૦૨૩ની ૧૨ થી ૧૯, જુલાઇ દરમિયાન કોઇપણ એક ચોક્કસ તારીખે ચંદ્રની યાત્રાએ જશે.ચંદ્રયાન -૩  શ્રીહરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટરથી જીએસએલવી -એમકે-૩ રોકેટની મદદથી રવાના થશે. ચંદ્રયાન -૩ માટે લોન્ચિંગ વિન્ડો ૧૯ જુલાઇ સુધી  ખુલ્લી છે. ચંદ્રયાન-૩ ને રવાના કરવામાં હવામાનની કે અન્ય કોઇ સમસ્યા સર્જાય તો તેને ધ્યાનમાં રાખીને આવી વ્યવસ્થા રાખવામાં  આવી છે.આમ છતાં શક્ય હશે તો અમે ચંદ્રયાન -૩ના લોન્ચિંગની ચોક્કસ તારીખ અને સમય થોડા દિવસોમાં જાહેર કરીશું.

ચંદ્રયાન -૩ ચંદ્રના દક્ષિણ  ધુ્રવ પરના કોઇ ચોક્કસ સ્થળ પર ઉતરશે.

એસ.સોમનાથે એવી  માહિતી પણ આપી હતી કે અમે ચંદ્રયાન -૩નું તમામ પ્રકારનું ટેકનિક પરીક્ષણ સફળતાપૂર્વક  પૂરું કરી દીધું  છે. અમે તેમાં  બધાં વૈજ્ઞાનિક ઉપકરણો ગોઠવી દીધાં છે. 

ચંદ્રયાન -૩ ખરેખર તો અગાઉના ચંદ્રયાન -૨ની વધુ આધુનિક  પ્રતિકૃતિ  છે. એટલે કે ચંદ્રયાન -૩માં નવાં કોઇ જ નહીં  પણ  ચંદ્રયાન -૨માંનાં તમામ વૈજ્ઞાનિક ઉપકરણો છે.વળી, ચંદ્રયાન -૨ માં જે વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર હતાં એજ વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન નામ સાથેનાં લેન્ડર અને રોવર છે. ભારતના અંતરીક્ષ સંશોધન કાર્યક્રમના જનક ડો. વિક્રમ સારાભાઇની સ્મૃતિમાં ચંદ્રયાન -૩ ના લેન્ડરનું નામ પણ વિક્રમ અને રોવરનું નામ  પ્રજ્ઞાન  જ રાખ્યું છે. વળી, ચંદ્રયાન -૨નું ઓબર્ટર તો હજી સંપૂર્ણ હેમખેમ રહીને ઉત્તમ કામગીરી કરી રહ્યું છે. 

ચંદ્રયાન -૩ના વિક્રમ લેન્ડરમાં સરફેસ થર્મોફિઝિકલ એક્સપરિમેન્ટ નામનું આધુનિક અને સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજીનું ઉપકરણ છે.આ ઉપકરણ ચંદ્રમાની સપાટી(ધરતી)નું તાપમાન અને થર્મલ કન્ડક્ટિવિટીનો અભ્યાસ કરશે. ઇન્સ્ટ્રુમેન્ટ ફોર લ્યુનાર સિસ્મિક એક્ટિવિટી ચંદ્રની સપાટી પર  થતા ભૂકંપોની જારકારી મેળવશે.જોકે ચંદ્રયાન -૩માં અમેરિકાની નાસાનું  પેસિવ લેઝર રેટ્રોરિફ્લેક્ટર એરે નામનું વૈજ્ઞાનિક ઉપકરણ પણ છે. નાસાનું આ ઉપકરણ ચંદ્રની  ધરતી પર લેઝરની મદદથી રેંજિંગ સ્ટડી કરશે. 

Share: