ગુજરાતના 68 જજોના પ્રમોશન પર સુપ્રીમનો સ્ટે

ગુજરાતના 68 જજોના પ્રમોશન પર સુપ્રીમનો સ્ટે


– પ્રમોશન ગેરકાયદે, નિયમોનો ભંગ થયો : સુપ્રીમ

– 68માં રાહુલને સજા આપનારા જજ પણ સામેલ : જજોને પ્રમોશન અગાઉના તેમના પદ ઉપર પરત મોકલવા સુપ્રીમનો આદેશ, 8 ઓગસ્ટે અંતિમ સુનાવણી

– અમારા માર્ક્સ વધુ હતા, પ્રમોશન મેળવનારાના ઓછા, ક્રાઇટેરિયાને ધ્યાનમાં ન લેવાયા : અરજદાર સરકારી અધિકારીઓ

– પ્રમોશન મેરિટ કમ સિન્યોરિટીના સિદ્ધાંત પર અને સૂટેબિલિટી ટેસ્ટ પાસ કર્યા બાદ થવું જોઇએ : ન્યાયાધીશ શાહ

– પ્રમોશન પામેલા 28 પદ પર રહેશે, બાકીના 40એ પોતાના ઓરિજિનલ પદ પર જવું પડશે : અરજદારોના વકીલ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે ગુજરાતના ૬૮ જજોના જિલ્લા જજ કેડરમાં પ્રમોશન પર સ્ટે મુકી દીધો છે. સાથે જ આ જજો પાસેથી તેમને પ્રમોશન બાદ મળેલુ પદ પરત લઇ લેવા પણ કહ્યું છે. જે ૬૮ જજોના પ્રમોશન પર સ્ટે મુકી દેવામાં આવ્યો છે તેમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને બે વર્ષની સજા આપનારા જજ હરીશ વર્માનો પણ સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જે જજોને પ્રમોશન આપવામાં આવ્યું હતું તેને હાલ તેમના અગાઉના મૂળ પદ પર પરત મોકલવામાં આવે.

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એમ.આર. શાહ અને ન્યાયાધીશ સી ટી રવિકુમારની બેંચે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે જજોના પ્રમોશનમાં નિયમોનો ભંગ થયો છે. ગુજરાત સ્ટેટ જ્યૂડિશિયલ રૂલ્સ ૨૦૦૫ કે જેમાં ૨૦૧૧માં સુધારો કરાયો હતો, જેમાં એવો નિયમ છે કે જજોનું પ્રમોશન મેરિટ કમ સીનિયોરિટી અને પરીક્ષાના આધારે જ કરી શકાય. સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું હતું કે ગુજરાતમાં ૬૮ જજોના પ્રમોશન ઓર્ડર દરમિયાન નિયમોનો ભંગ થયો છે અને તેથી આ પ્રમોશન ગેરકાયદે છે. તેથી અમે આ પ્રમોશનને અટકાવીએ છીએ અને તેના અમલ પર સ્ટે આપીએ છીએ. પ્રમોશન પહેલા ૬૮ જજો જે પણ પદ પર હતા તે પદ પર તેમને પરત મોકલવામાં આવે. 

સુપ્રીમ કોર્ટમાં સૌથી પહેલા આ મામલો સીનિયર સિવિલ જજ કેડર અધિકારીઓ રવીકુમાર મહેતા અને સચિન પ્રજાપતિ મહેતા દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. 

જેઓ બન્ને હાલ ગુજરાત સરકારના લીગલ વિભાગમાં કામ કરી રહ્યા છે. આ પહેલા ૧૩મી એપ્રીલે સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલ અને ગુજરાત સરકારને નોટિસ પાઠવી હતી. તે સમયે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સરકારને જાણકારી હતી કે આ મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેમ છતા પ્રમોશન ઓર્ડર કેમ આપવામાં આવ્યા. અમે આ પ્રકારના ઉતાવળભર્યા નિર્ણયને નહીં સ્વીકારીએ. આ મામલે હવે સુપ્રીમ કોર્ટમાં અંતિમ સુનાવણી ૮ ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ કરવામાં આવશે. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ જે બેંચને કેસ સોપશે તે સુનાવણી કરશે.

શું આરોપો લગાવવામાં આવ્યા હતા ?

અરજદારોએ એવો આરોપ લગાવ્યો હતો કે અમે બન્ને અરજદારો સીનિયર સિવિલ જજ કેડરના અધિકારી છીએ, અને ૬૫ ટકા પ્રમોશન કોટા માટે થયેલી પરીક્ષા પણ આપી હતી, બન્ને અધિકારીઓનો આરોપ છે કે પ્રમોશન માટે લેવાયેલી પરીક્ષામાં તેમના માર્ક્સ પ્રમોશન લેનારા ઉમેદવારોના માર્ક્સ કરતા વધુ હોવા છતા તેમને પ્રમોશનનો લાભ ન આપવામાં આવ્યો જ્યારે ઓછા માર્ક્સ વાળાને આ લાભ આપવામાં આવ્યો. આ ઉપરાંત ૬૮ જજોના પ્રમોશન દરમિયાન નક્કી કરાયેલા ક્રાઇટેરિયાનું પાલન નથી થયું, આરોપ લગાવવામાં આવ્યો છે કે પ્રમોશન માટે લેવામાં આવેલી પરીક્ષાની સાથે સાથે મેરિટ કમ સીનિયોરિટી ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા. જોકે સિલેક્શન સીનિયોરિટી કમ મેરિટના આધારે કરવામાં આવ્યું હતું. જેને કારણે યોગ્ય અને વધુ માર્ક્સ મેળવનારાને બહાર કરી દેવાયા અને ઓછા માર્ક્સ વાળાને લાભ આપી દેવાયો.

Share: