કોઈમ્બતુર બ્લાસ્ટ ટેરર ​​ફંડિંગ મામલે તમિલનાડુમાં 45 ઠેકાણા પર NIAના દરોડા

કોઈમ્બતુર બ્લાસ્ટ ટેરર ​​ફંડિંગ મામલે તમિલનાડુમાં 45 ઠેકાણા પર NIAના દરોડા

– 30 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય તપાસ એજન્સીએ તમિલનાડુના કોઈમ્બતુરમાં સિલિન્ડર બ્લાસ્ટ કેસની સત્તાવાર રીતે તપાસ શરૂ કરી હતી

નવી દિલ્હી, તા. 10 નવેમ્બર 2022, ગુરૂવાર

તમિલનાડુના કોઈમ્બતુર બ્લાસ્ટ સાથે જોડાયેલા ટેરર ​​ફંડિંગ કેસમાં NIA એક્શનમાં આવી છે. ટેરર-ફંડિંગ કેસમાં મોટી કાર્યવાહી કરતા NIAની ટીમે તમિલનાડુમાં 45 સ્થળોએ દરોડા પાડ્યા છે જેમાં કોઈમ્બતુરના 21 સ્થળો સામેલ છે. તમિલનાડુમાં ઘણી જગ્યાઓ પર રાત્રે 1:00 વાગ્યે જ દરોડા શરૂ થયા હતા.

પ્રાપ્ત માહિતી પ્રમાણે કોઈમ્બતુરમાં સવારે 5:00 વાગ્યાથી દરોડા પાડવાની શરૂઆત કરવામાં આવી હતી અને હવે NIAની ટીમ 21 સ્થળોએ હાજર છે. NIAના લગભગ 150 અધિકારીઓ અને કર્મચારીઓ તમિલનાડુમાં ચાલી રહેલા દરોડામાં સામેલ છે. એવું માનવામાં આવે છે કે NIAની આ કાર્યવાહી કોઈમ્બતુરમાં કારમાં સિલિન્ડર બ્લાસ્ટ કેસની તપાસ સાથે સંબંધિત છે કારણ કે છેલ્લા દિવસોમાં NIAએ કોઈમ્બતુર બ્લાસ્ટ કેસમાં તપાસ માટે કેસ નોંધ્યો હતો અને કાર્યવાહી શરૂ કરી હતી.

30 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ તમિલનાડુના કોઈમ્બતુરમાં સિલિન્ડર બ્લાસ્ટ કેસની સત્તાવાર રીતે તપાસ શરૂ કરી હતી. 23 ઓક્ટોબરે શહેરના એક મંદિરની સામે બનેલી ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. પોલીસે કહ્યું હતું કે, NIA એસપી શ્રીજીતના નેતૃત્વમાં NIA અધિકારીઓની એક ટીમે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને મંદિરની આસપાસના વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું અને પુરાવા એકત્રિત કર્યા હતા.

પોલીસના જણાવ્યા પ્રમાણે NIAની ટીમે ઘટના અંગે કોટ્ટાઈ ઈશ્વરણ મંદિરના પૂજારીની પૂછપરછ કરી હતી. ટીમ ઘટનાસ્થળથી થોડાક મીટર દૂર સ્થિત જમીશા મુબીનના ઘરે જવાની યોજના બનાવી રહી છે જે ઘટનામાં મૃત્યુ પામી હતી. તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને બ્લાસ્ટ કેસમાં NIA દ્વારા તપાસની ભલામણ કરી હતી.

દિવાળીના એક દિવસ પહેલા 23 ઓક્ટોબરે જમીશા મુબીન ના ઘરેથી પોટેશિયમ નાઈટ્રેટ સહિત 75 કિલો વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યા હતા. તેમની કારમાં વિસ્ફોટ થતાં મુબીનનું મૃત્યુ થયું હતું. આ કેસમાં અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Share: