કોંગ્રેસ અધ્યક્ષપદની ચૂંટણી નહીં લડે ગહેલોત, સોનિયા ગાંધી નક્કી કરે રાજસ્થાનના CM કોણ રહેશે

કોંગ્રેસ અધ્યક્ષપદની ચૂંટણી નહીં લડે ગહેલોત, સોનિયા ગાંધી નક્કી કરે રાજસ્થાનના CM કોણ રહેશે

નવી દિલ્હી,તા.29 સપ્ટેમ્બર 2022,ગુરૂવાર

રાજસ્થાનના સીએમ અશોક ગહેલોતે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ કોંગ્રેસના અધ્યક્ષ પદની ચૂંટણી નહીં લડવાનુ એલાન કર્યુ છે.

આ જાહેરાતના પગલે રાજકીય વર્તુળોમાં પણ હલચલ મચી છે. ગહેલોતે કહ્યુ હતુ કે, વર્તમાન સ્થિતિને જોઈને મેં ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો છે. મેં સોનિયા ગાંધીની આ માટે માફી પણ માંગી છે.

ગહેલોતે કહ્યુ હતુ કે, રાજસ્થાનમાં જે પણ થયુ છે તેનાથી કોંગ્રેસમાં બધા હચમચી ગયા છે અને આ માટે મેં સોનિયા ગાંધીની માફી માંગી છે. મેં કોંગ્રેસના વફાદાર સૈનિક તરીકે હંમેશા કામ કર્યુ છે અને કોંગ્રેસ પાર્ટીએ મારા પર વિશ્વાસ મુકીને મને ઘણી જવાબદારીઓ સોંપી છે. સોનિયા ગાંધીના આશીર્વાદથી હું ત્રીજી વખત રાજસ્થાનનો સીએમ બન્યો છું.

તેમણે કહ્યુ હતુ કે, રાજ્યમાં હું સત્તાધારી પક્ષનો નેતા છું અને જે પણ ઘટનાક્રમ બન્યો હતો તે નિંદાજનક છે. મને તેનુ બહુ દુખ છે.કમનસીબે એવી સ્થિતિ સર્જાઈ હતી કે, પ્રસ્તાવ પસાર થઈ શક્ય નહોતો.આ મારી નૈતિક જવાબદારી હતી પણ સીએમ હોવા છતા હું પ્રસ્તાવ પાસ ના કરાવી શક્યો તેનુ દુખ છે.

ઉલ્લેખનીય છે કે, સોનિયા ગાંધીએ ગહેલોત કોંગ્રેસ અધ્યક્ષ તરીકે ચૂંટણી લડે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે ગહેલોતના સમર્થક  ધારાસભ્યો જો રાજસ્થાનમાં સચિન પાયલોટને સીએમ બનાવવામાં આવે તો બળવો કરવા માટે પણ તૈયાર થઈ ગયા હતા અને આ ઘટનાક્રમથી કોંગ્રેસ હાઈકમાન્ડ બહુ નારાજ છે.એવુ મનાય છે કે, ગહેલોત જેવા નેતાની કેરિયર પર આ ઘટનાક્રમે એક ડાઘ લગાવી દીધો છે.

સોનિયા ગાંધીને મળતા પહેલા ગહેલોત કોંગ્રેસના બીજા નેતાઓ કેસી વેણુગોપાલ અને મુકુલ વાસનિકને પણ મળ્યા હતા. એ પછી સોનિયા ગાંધી સાથે દોઢ કલાક સુધી ગહેલોતની બેઠક ચાલી હતી.

Share: