કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓએ BJP નેતાની કરી હત્યા, હુમલાખોરોની શોધ ચાલુ

કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓએ BJP નેતાની કરી હત્યા, હુમલાખોરોની શોધ ચાલુ

શ્રીનગર, 17 ઓગસ્ટ 2021 મંગળવાર

કાશ્મીરના કુલગામમાં ભાજપના નેતા જાવેદ અહેમદ ડારની આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી હતી. જાવેદ હોમશાલિબુગ વિધાનસભા મતવિસ્તારના પાર્ટી પ્રભારી હતા. આતંકીઓની શોધમાં સમગ્ર વિસ્તારમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. કાશ્મીર ભાજપ એકમે હુમલાની નિંદા કરતા કહ્યું કે કુલગામમાં જાવેદ અહેમદ ડારની હત્યા આતંકવાદીઓની નિરાશા દર્શાવે છે. આ કાયરતાપૂર્ણ કૃત્ય છે. પક્ષની સંવેદના જાવેદના પરિવાર સાથે છે.

જમ્મુ-કાશ્મીર ભાજપના પ્રવક્તા અલ્તાફ ઠાકુરે જાવેદ ડારની હત્યા પર શોક વ્યક્ત કર્યો છે. અલ્તાફે કહ્યું કે આતંકવાદીઓ નિર્દોષ લોકોને નિશાન બનાવી રહ્યા છે. તેમણે આને કાયર અને બર્બર કૃત્ય ગણાવ્યું. તેમણે પોલીસને હત્યારાઓને પકડી પાડવા અને કડક સજા કરવાની માંગ કરી. ભાજપના પ્રદેશ મહામંત્રી (સંગઠન) અશોક કૌલે કહ્યું કે અમારા એક કાર્યકર્તા પર આતંકવાદીઓએ હુમલો કર્યો છે. સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. કાર્યકરોનું બલિદાન ક્યારેય વ્યર્થ નહીં જાય.

જમ્મુ -કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે જાવેદ અહમદની કુલગામમાં આતંકવાદીઓએ હત્યા કરી છે, હું આ હુમલાની સખત નિંદા કરું છું. જાવેદના પરિવાર અને સહયોગીઓ પ્રત્યે મારી સંવેદના છે.

Share: