કાલે થશે મોદી પ્રધાનમંડળનું વિસ્તરણ, 30 નવા ચહેરાઓને કેબિનેટમાં મળી શકે સ્થાન

કાલે થશે મોદી પ્રધાનમંડળનું વિસ્તરણ, 30 નવા ચહેરાઓને કેબિનેટમાં મળી શકે સ્થાન

નવી દિલ્હી, 6 જુલાઇ 2021 મંગળવાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રધાનમંડળનો વિસ્તાર થવા જઇ રહ્યો છે. આવતીકાલે સાંજે 6 વાગ્યાની આસપાસ નવા મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, મોદી તેમની કેબિનેટમાં યુવાનોને પ્રાધાન્ય આપવા જઈ રહ્યા છે. તેમજ ઉચ્ચ શિક્ષણ ધરાવતા સાંસદોને પણ તક મળી શકે છે. આવતીકાલે લગભગ બે ડઝન જેટલા નવા ચહેરાઓ હોદ્દાના શપથ લેશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારે રાષ્ટ્રપતિ ભવનને શપથ ગ્રહણની માહિતી આપી છે. સૂત્રોનું એમ પણ કહેવું છે કે કેબિનેટ વિસ્તરણ પછી મોદી કેબિનેટમાં યુવા પ્રધાનોની સંખ્યા વધુ છે.

ભાજપના રાજ્યસભાના સભ્ય જ્યોતિરાદિત્ય સિંધિયા મંગળવારે બપોરે મધ્યપ્રદેશના માલવા-નિમાડ વિસ્તારનો ત્રણ દિવસીય પ્રવાસ અધૂરો છોડી દિલ્હી જવા રવાના થયા છે, આ સાથે જ આસામના પૂર્વ મુખ્ય પ્રધાન સર્વાનંદ સોનોવાલ દિલ્હી પહોંચી ગયા છે. સિંધિયા અને સોનોવાલને એવા મુખ્ય દાવેદારો માનવામાં આવી રહ્યા છે કે જેને મોદી કેબિનેટમાં સ્થાન મળી શકે છે.

પ્રધાન પદના શપથ લઈ શકે તેવા અગ્રણી નેતાઓમાં જ્યોતિરાદિત્ય સિંધિયા, સુશીલ મોદી, તિરથસિંહ રાવત, સર્વાનંદ સોનોવાલ, પશુપતિ પારસ, આર કે રંજન સિંહ, અપના દળની અનુપ્રિયા પટેલ જેવા નામનો સમાવેશ થાય છે.

Share: