કાંઝાવાલા કેસનો હૃદયકંપી પોસ્ટમોર્ટમ રિપોર્ટ, યુવતીને પહોંચી હતી આટલી ઈજા

કાંઝાવાલા કેસનો હૃદયકંપી પોસ્ટમોર્ટમ રિપોર્ટ, યુવતીને પહોંચી હતી આટલી ઈજા

દિલ્હીમાં કાંઝાવાલા રોડ અકસ્માતમાં મૃતકના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હૃદયકંપી માહિતી સામે આવી છે.  પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, તેની ખોપરી ફાટી ગઈ હતી, માથાના હાડકાં તૂટી ગયાં હતાં, છાતીની પાંસળીઓ બહાર આવી હતી. મૌલાના આઝાદ મેડિકલ કોલેજના ત્રણ ડોક્ટરોની પેનલ દ્વારા યુવતીના શરીરની તપાસ કરવામાં આવી હતી. યુવતીના ઓટોપ્સી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે માથા, કરોડરજ્જુ, ડાબી જાંઘના હાડકા અને બંને ફેફસામાં ગંભીર ઈજાના કારણે શરીરની હાલત ખરાબ હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે યુવતીનું મોત આઘાત અને વધારે રક્તસ્ત્રાવને કારણે થયું છે. યુવતીના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં 40 ગંભીર ઈજાઓનો ઉલ્લેખ છે.

એકસાથે થયેલી ઘણી ઈજાઓ મૃત્યુનું કારણ
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, એકસાથે થયેલી ઘણી ઈજાઓ સામાન્ય રીતે મૃત્યુનું કારણ હોઈ શકે છે. જો કે, માથા, કરોડરજ્જુ, હાડકાં અને અન્ય ઇજાઓની ગંભીરતા પણ મૃત્યુનું કારણ રહ્યું હોઈ શકે છે. હાઇ સ્પીડ અથડામણ અને શરીર ખેચવાને લીધે તમામ ઇજાઓ શક્ય છે. હજુ, કેમિકલ એનાલિસિસ અને બાયોલોજિકલ  સેમ્પલના રિપોર્ટ મળ્યા બાદ જ સંપૂર્ણ અભિપ્રાય મળી શકશે.

યુવતીને 40 થી વધુ ઇજાઓ,  જેમાંથી મોટાભાગના ઘા અને સ્ક્રેચ
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં 40 ઇજાઓ નોંધવામાં આવી છે. જેમાંથી મોટાભાગના ઘા અને સ્ક્રેચ છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે યુવતીનું બ્રેઈન મેટર ગાયબ હતું અને બંને ફેફસાંના ભાગમાં પણ ખુબ ઈજા પહોચી હતી. આ બધાની વચ્ચે દિલ્હી પોલીસે કહ્યું હતું કે, યુવતીના શરીર પર એવા કોઈ ઘા નથી, જે જાતીય સતામણી તરફ ઈશારો કરતો હોય.

Share: