એર ચીફ માર્શલ વીઆર ચૌધરી બન્યા નવા વાયુસેના પ્રમુખ, લીધી આરકેએસ ભદૌરિયાની જગ્યા

એર ચીફ માર્શલ વીઆર ચૌધરી બન્યા નવા વાયુસેના પ્રમુખ, લીધી આરકેએસ ભદૌરિયાની જગ્યા


– વીઆર ચૌધરી 1982માં ભારતીય વાયુસેનામાં સામેલ થયા હતા અને ફાઈટર સ્ટ્રીમ સાથે સંબંધ ધરાવે છે

નવી દિલ્હી, તા. 30 સપ્ટેમ્બર, 2021, ગુરૂવાર

એર ચીફ માર્શલ વીઆર ચૌધરી ભારતીય વાયુસેનાના નવા પ્રમુખ બની ગયા છે. તેમણે આરકેએસ ભદૌરિયાની જગ્યા લીધી છે. એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરી જે ચીન સાથેનું સંકટ ચરમ સીમાએ હતું ત્યારે લદ્દાખ સેક્ટરના પ્રભારી હતા તેમણે ગુરૂવારે એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા પાસેથી નવા વાયુ સેના પ્રમુખ તરીકે પદભાર સંભાળ્યો હતો. વર્તમાન વાયુસેના અધ્યક્ષ આરકેએસ ભદૌરિયા આજે વાયુસેનામાંથી નિવૃત્ત થયા. રિટાયરમેન્ટ પહેલા નિવર્તમાન વાયુસેના ચીફે આજે દિલ્હી ખાતે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર શ્રદ્ધા સુમન અર્પિત કર્યા હતા. 

આરકેએસ ભદૌરિયા 42 વર્ષની સેવા બાદ સેવાનિવૃત્ત થયા છે. આ દરમિયાન તેમણે 36 રાફેલ અને 83 માર્ક1એ સ્વદેશી તેજસ જેટ સહિત 2 મેગા લડાકુ વિમાનના સોદામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમની કરિયરની શરૂઆત પેન્થર્સ સ્ક્વોડ સાથે MIG-21ની ઉડાનથી શરૂ થઈ હતી અને પછી એ જ એરબેઝ પર એ જ સ્ક્વોડ્રન સાથે સમાપ્ત થઈ હતી. 

પૂર્વ એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયાએ 13 સપ્ટેમ્બરના રોજ 23 વર્ગ, હલવારામાં વાયુ સેના પ્રમુખ તરીકે એક લડાકુ વિમાનમાં પોતાની અંતિમ ઉડાન ભરી હતી.

વીઆર ચૌધરી 1982માં ભારતીય વાયુસેનામાં સામેલ થયા હતા અને ફાઈટર સ્ટ્રીમ સાથે સંબંધ ધરાવે છે. તેઓ મિગ-29 ફાઈટર જેટના પાયલટ રહી ચુક્યા છે. છેલ્લા 39 વર્ષની કરિયર દરમિયાન તેમણે અનેક કમાન અને સ્ટાફ નિયુક્તિઓ કરી છે. આના પહેલા તેઓ સહ વાયુસેના પ્રમુખ તરીકે તૈનાત હતા. તેમણે એરફોર્સ એકેડમીમાં ઈન્સ્ટ્રક્ટર તરીકે પણ સેવાઓ આપી છે. 

Share: