ઉમેશ પાલ અપહરણ કેસ : અતીક અહેમદને સાબરમતી જેલ લાવવા ઉત્તરપ્રદેશ પોલીસનો કાફલો રવાના

ઉમેશ પાલ અપહરણ કેસ : અતીક અહેમદને સાબરમતી જેલ લાવવા ઉત્તરપ્રદેશ પોલીસનો કાફલો રવાના
Image – Twitter

પ્રયાગરાજ, તા.28 માર્ચ-2023, મંગળવાર

ગેંગસ્ટર અતીક અહેમદને લઈને ઉત્તરપ્રદેશ પોલીસનો કાફલો મંગળવારે સાંજે 8.35 કલાકે રવાના થઈ ગયો છે. અતીકને નૈની જેલમાંથી પરત અમદાવાદની સાબરમતી જેલમાં લઈ જવાઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશ પોલીસની 24 સભ્યોની ટીમ અતીકને લઈને રવાના થઈ ગઈ છે. આ પહેલા આતિકનું હેલ્થ ચેકઅપ કરાયું હતું અને ડોક્ટરે તેને કેટલીક દવાઓ આપી છે. 17 વર્ષ જૂના ઉમેશ પાલના અપહરણ કેસમાં પ્રયાગરાજની MP-MLA કોર્ટો મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે ગેંગસ્ટર અતીક અહેમદ સહિત 3 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે અને ત્રણેયને આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં કોર્ટે અતીક ઉપરાંત હનીફ, દિનેશ પાસીને પણ દોષિત ઠેરવ્યા છે. કોર્ટે ત્રણેયને 1-1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. જ્યારે અતીકના ભાઈ અશરફ સહિત 7ને નિર્દોષ જાહેર કર્યા હતા. વિશેષ અદાલતે તેને IPCની કલમ 364A હેઠળ દોષિત ઠેરવ્યો છે. કોર્ટે આ કેસમાં અન્ય તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. અતીકના ભાઈ અશરફને બરેલી અને હનીફને ચિત્રકૂટ જેલમાં ધકેલી દેવાયો છે.

ઉમેશ પાલ અપહરણ કેસમાં 3ને સજા, 7 નિર્દોષ

ઉમેશ પાલ અપહરણ કેસમાં કુલ 11 આરોપીઓ હતા. તેમાંથી એકનું મોત થયું હતું. કોર્ટે 3ને દોષિત ઠેરવ્યા છે. જ્યારે 7ને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. કોર્ટે અતિક અહેમદ સહિત ત્રણને આજીવન કેદની સજા સંભળાવી છે. અતિખ અહેમદ, દિનેશ પાસી ખાન અને શૌલત હનીફને દોષિત જાહેર કર્યા છે જ્યારે અતીકના ભાઈ અશરફ, અંસાર બાબા, ફરહાન, ઈસરાર, આબિદ પ્રધાન, આશિક મલ્લી અને એજાઝ અખ્તરને નિર્દોષ જાહેર કર્યા છે. સજા સંભળાવ્યા બાદ અતિકને પરત સાબરમતી જેલમાં લઈ જવામાં આવીરહ્યો છે. 

શું હતો કેસ ?

બસપાના ધારાસભ્ય રાજુ પાલની 25 જાન્યુઆરી 2005ના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં અતીક અહેમદ, તેના ભાઈ અશરફ સહિત 5 આરોપીના નામ હતા. જ્યારે ચાર અજાણ્યાને આરોપી બનાવાયા હતા. આ કેસમાં રાજુ પાલના સંબંધી ઉમેશ પાલ મુખ્ય સાક્ષી હતા. ઉમેશનું 28 ફેબ્રુઆરી 2006ના રોજ અપહરણ કરવામાં આવ્યું હતું. અતીક અહેમદ અને તેના સહયોગીઓ સામે આરોપ લગાવવામાં આવ્યો હતો. ઉમેશે આરોપ લગાવ્યો હતો કે અતીકે તેની પર હુમલો કર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી.

Share: