ઉદઘાટનના દિવસે નવા સંસદ ભવન સામે દેખાવકાર કુશ્તીબાજોનું મહિલા મહાપંચાયત યોજવા આહ્વાન

ઉદઘાટનના દિવસે નવા સંસદ ભવન સામે દેખાવકાર કુશ્તીબાજોનું મહિલા મહાપંચાયત યોજવા આહ્વાન

image : Twitter

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) ના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ દેશના પ્રખ્યાત કુશ્તીબાજો જંતર-મંતર પર સતત ધરણા કરી રહ્યા છે. આ દરમિયાન કુશ્તીબાજોએ નવા સંસદ ભવન સામે 28 મેના રોજ મહિલા મહાપંચાયત યોજવાનું આહ્વાન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દિવસે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે.

મહિલાઓ મહાપંચાયતનું નેતૃત્વ કરશે

મંગળવારે વિરોધ કરી રહેલા કુશ્તીબાજોએ ન્યાયની માંગ સાથે જંતર-મંતરથી ઈન્ડિયા ગેટ સુધી કૂચ કરી હતી. આ કૂચ પછી કુશ્તીબાજ વિનેશ ફોગાટે પત્રકારોને જણાવ્યું હતું કે “અમે નવા સંસદ ભવન સામે 28 માર્ચે શાંતિપૂર્ણ મહિલા મહાપંચાયત યોજવાનું નક્કી કર્યું છે.” વિનેશ ફોગાટે કહ્યું કે આ મહાપંચાયતનું નેતૃત્વ મહિલાઓ કરશે. આ સાથે તેમણે કહ્યું કે આ જે અવાજ ઉઠાવવામાં આવ્યો છે તે દૂર દૂર સુધી પહોંચવો જોઈએ. જો આજે દેશની દીકરીઓને ન્યાય મળશે તો આવનારી પેઢીઓ તેનાથી પ્રેરણા લેશે.

WFIના અધ્યક્ષ સામે લાગ્યા છે જાતીય સતામણીના આરોપ 

વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા અને સાક્ષી મલિક સહિત ઘણા ટોચના કુસ્તીબાજો 23 એપ્રિલથી દિલ્હીના જંતર-મંતર પર વિરોધ કરી રહ્યા છે. રેસલર્સે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના વડા અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. મહિલા કુશ્તીબાજોએ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી, ત્યારબાદ 28 એપ્રિલે દિલ્હીના કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં બે એફઆઈઆર નોંધવામાં આવી હતી. જેમાં પોક્સો હેઠળ સગીર છોકરીની ફરિયાદ પર સિંહ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, જ્યારે અન્ય કુશ્તીબાજોના યૌન શોષણની ફરિયાદ પર બીજી એફઆઈઆર નોંધવામાં આવી છે.

તપાસ માટે SITની રચના 

આ મહિનાની શરૂઆતમાં, દિલ્હી પોલીસે રેસલિંગ એસોસિએશનના પ્રમુખ સામે યૌન શોષણના આરોપોની તપાસ માટે વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરી હતી. દરમિયાન, રમત મંત્રાલયે કુશ્તીબાજોના આરોપોની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી રેસલિંગ ફેડરેશનની તમામ પ્રવૃત્તિઓ સ્થગિત કરી દીધી છે.

Share: