આ વખતે રાષ્ટ્રિય ખેલ પુરસ્કાર 29 ઓગસ્ટએ આપવામાં આવશે નહીં, આ છે કારણ

આ વખતે રાષ્ટ્રિય ખેલ પુરસ્કાર 29 ઓગસ્ટએ આપવામાં આવશે નહીં, આ છે કારણ

નવી દિલ્હી, 12 ઓગસ્ટ 2021 ગુરૂવાર

દર વર્ષે 29 ઓગસ્ટના રોજ યોજાતો નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ સમારોહ આ વર્ષે મોડો યોજાશે કારણ કે સરકાર ઇચ્છે છે કે પસંદગી પેનલ ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભાગ લેનારા પેરા એથ્લેટ્સના પ્રદર્શનનો પણ સમાવેશ કરે. પેરાલિમ્પિક ગેમ્સ ટોક્યોમાં 24 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર સુધી યોજાશે. રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે પુરસ્કાર વિજેતાઓને પસંદ કરવા માટે પસંદગી પેનલની રચના કરવામાં આવી છે, પરંતુ તેઓ પસંદગી પ્રક્રિયામાં આગળ વધતા પહેલા થોડો વધુ સમય રાહ જોશે.

અનુરાગ ઠાકુરે રાષ્ટ્રીય યુવા પુરસ્કાર સમારોહ દરમિયાન જણાવ્યું હતું કે, “આ વર્ષે રાષ્ટ્રીય રમત પુરસ્કાર સમિતિની રચના કરવામાં આવી છે પરંતુ પેરાલિમ્પિક્સનું આયોજન થવાનું છે તેથી અમે પેરાલિમ્પિક્સના વિજેતાઓને પણ સામેલ કરવા માંગીએ છીએ. મને આશા છે કે તેઓ સારું પ્રદર્શન કરશે. “રાષ્ટ્રીય પુરસ્કારો – ખેલ રત્ન પુરસ્કાર, અર્જુન પુરસ્કાર, દ્રોણાચાર્ય પુરસ્કાર અને ધ્યાનચંદ પુરસ્કાર – દેશના રાષ્ટ્રપતિ દ્વારા દર વર્ષે 29 ઓગસ્ટએ રાષ્ટ્રીય ખેલ દિવસનાં પ્રસંગે આપવામાં આવે છે. જે મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિ પણ છે.

અત્રે ઉલ્લેખનિય છે કે ખેલ પુરસ્કારોની ઇનામી રકમમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. ખેલ રત્નમાં હવે 25 લાખ રૂપિયાનું ઇનામ છે, જે અગાઉના સાડા સાત લાખ કરતા ઘણું વધારે છે. અર્જુન પુરસ્કારની ઇનામની રકમ 5 લાખથી વધારીને 15 લાખ કરવામાં આવી છે. અગાઉ દ્રોણાચાર્ય (આજીવન) પુરસ્કાર વિજેતાઓને 5 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા જે વધારીને 15 લાખ રૂપિયા કરવામાં આવ્યા છે. દ્રોણાચાર્ય (નિયમિત) એવોર્ડ મેળવનાર દરેક કોચને 5 લાખને બદલે 10 લાખ રૂપિયા મળે છે.

Share: