અમિત શાહે ખડગે-અધિર રંજન ચૌધરીને લખ્યો પત્રો, કહ્યું મણિપુર મુદ્દે ચર્ચા કરવા સહયોગ આપે

અમિત શાહે ખડગે-અધિર રંજન ચૌધરીને લખ્યો પત્રો, કહ્યું મણિપુર મુદ્દે ચર્ચા કરવા સહયોગ આપે

નવી દિલ્હી, તા.25 જુલાઈ-2023, મંગળવાર

હાલ સંસદનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે, જોકે મણિપુર હિંસા મુદ્દે સંસદમાં હોબાળાના કારણે હજુ સુધી કોઈ કાર્યવાહી આગલ વધી શકી નથી. વિપક્ષો મણિપુર મુદ્દે વડાપ્રધાન મોદી ચર્ચા કરે તેવી માંગ કરી રહ્યા છે, તો તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે પણ કહ્યું હતું કે, આ મામલે સરકાર ચર્ચા કરવા તૈયાર છે, પણ મને સમજાતું નથી કે, વિપક્ષો આવું કેમ કરી રહ્યા છે. દરમિયાન અમિત શાહે લોકસભાના વિપક્ષી નેતા અધીર રંજન ચૌધરી અને રાજ્યસભાના વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે મણિપુરના ખુબ જ સંવેદનશીલ મુદ્દા પર ચર્ચા કરવા સહયોગ આપવા વિનંતી કરી છે.

અમિત શાહે મણિપુર મુદ્દે ચર્ચા કરવા તમામ પક્ષોનો સહયોગ માગ્યો

આ મુદ્દે ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને કહ્યું છે કે, આજે મેં બંને ગૃહોના વિપક્ષી નેતાઓ, લોકસભાના અધીર રંજન ચૌધરી અને રાજ્યસભાના મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખી મણિપુર મુદ્દે તેમનો અમુલ્ય સહકાર આપવા વિનંતી કરી.. સરકાર મણિપુર મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે અને પાર્ટી તમામ પક્ષોનો સહયોગ માંગે છે. મને આશા છે કે, તમામ પક્ષો આ મહત્વપૂર્ણ મુદ્દાને ઉકેલવા માટે સહયોગ આપશે…

સંસદીય દળની બેઠકમાં PM મોદીનું મોટું નિવેદન 

દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદીય દળોની બેઠકમાં વિપક્ષ સામે આક્રમક વલણ અપનાવતા વિપક્ષને દિશાહિન થઈ ગયો હોવાનું જણાવ્યું હતું. તેમણે INDIA સામે પણ નિશાન તાક્યું હતું. તેની તુલના ઈસ્ટ ઈન્ડિયા કંપની સાથે કરી દીધી હતી. મોદીએ કહ્યું હતું કે, આવો દિશાહિન વિપક્ષ ક્યારેય નથી જોયો. તેમણે વિરોધ પર નહીં પરંતુ કામ પર ધ્યાન આપવાની જરૂર છે.

મણિપુર મુદ્દે અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે

વડાપ્રધાન મોદી ભાજપના સંસદીય દળોની બેઠકમાં આ ટિપ્પણી કરી રહ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષ વિખેરાયેલું અને હતાશ લાગી રહ્યું છે. આ દરમિયાન વિપક્ષે મણિપુર મુદ્દે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો નિર્ણય કર્યો છે. આ સાથે પીએમ મોદીએ 2047 સુધી ભારતને વિકસિત દેશ બનાવાનું લક્ષ્ય રાખ્યું હતું. તેમણે કહ્યું કે અમારી ત્રીજી ટર્મમાં ભારત ત્રીજી મોટી ઈકોનોમી બનશે. તેમણે કહ્યું કે ઈન્ડિયા નામ તો ઈન્ડિયન મુજાહિદ્દીન જેવા આતંકી સંગઠનોના નામમાં પણ આવે છે. તેમણે ઈસ્ટ ઈન્ડિયા કંપની સાથે પણ વિપક્ષના મહાગઠબંધનના નામની તુલના કરી નાખી હતી.

ભાજપના સાંસદોને પીએમ મોદીએ આપી સલાહ 

ભાજપના સંસદીય દળોની બેઠક સમાપ્ત થયા બાદ વડાપ્રધાન મોદીએ સાંસદોને સલાહ આપી હતી કે, વિપક્ષનું કામ જ છે દેખાવો કરવાનું… તેમને એ કરવા દો અને તમે તમારું કામ કરો. આપણે દેશને 2047 સુધી વિકસિત બનાવવાનો છે. ત્રીજી ટર્મમાં ભારતને ત્રીજું મોટું અર્થતંત્ર બનાવવાનું છે. તેમણે કહ્યું કે લાગે છે કે વિપક્ષ ફરી સત્તામાં આવવા માગતો જ નથી. 

Share: