અજિત ટીમના 2 દિગ્ગજ નેતાઓ શરદ પવારના નજીકના નેતાને મળ્યા, કહ્યું ‘કોઈ રાજકીય ચર્ચા થઈ નથી’

અજિત ટીમના 2 દિગ્ગજ નેતાઓ શરદ પવારના નજીકના નેતાને મળ્યા, કહ્યું ‘કોઈ રાજકીય ચર્ચા થઈ નથી’

મુંબઈ, તા.15 ઓગસ્ટ-2023, મંગળવાર

એનસીપીના વડા શરદ પવાર અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર વચ્ચે જ્યારથી સિક્રેટ મુલાકાત થઈ છે, ત્યારથી રાજ્યના રાજકારણમાં ખલબલી મચેલી જોવા મળી રહી છે, ત્યારે હવે અજિત પવારના 2 નેતાઓ શરદ પવારના નજીકના નેતા સાથે મુલાકાત કર્યાના અહેવાલો સામે આવ્યા છે. અજિત પવાર ટીમના રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના નેતા પ્રફુલ પટેલ અને સુનીલ તટકરેએ આજે પક્ષના ધારાસભ્ય નવાબ મલિક સાથે મુલાકાત કરી હતી. તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે મની લોન્ડ્રીંગ કેસમાં જેલમાં બંધ નવાબ મલિકને વચગાળાના જામીન આપ્યા છે. કોર્ટે તેમને આરોગ્ય તપાસના આધારે વચગાળાના જામીન આપ્યા છે.

અજિત પવાર નવાબ મલિક સાથે કરશે મુલાકાત

પ્રભુલ પટેલે પત્રકારોને જણાવ્યું કે, શરદ પવાર અને અજિત પવાર વચ્ચે કોઈપણ પ્રકારની રાજકીય વાતચીત થઈ નથી. જ્યારે પટેલને પૂર્વ રાજ્યમંત્રી મલિક અને અજિત પવાર વચ્ચે યોજાયેલી સંભવિત બેઠક અંગે પૂછાયું તો તેમણે કહ્યું કે, અજિત પવાર નવાબ મલિક સાથે જરૂરથી મુલાકાત કરશે. ઉલ્લેખનિય છે કે, સોમવારે નવાબ મલિકને એક ખાનગી હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. 

તાજેતરમાં જ SCએ નવાબ મલિકને અપાયા વચગાળાના જામીન

ઉલ્લેખનિય છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ – ઈડીએ ફેબ્રુઆરી-2022માં નવાબ મલિકની મની લોન્ડ્રીંગ કેસમાં ધરપકડ કરી હતી. તેમના પર અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને તેના સભ્યોથી સંકળાયેલા હોવાનો આરોપ લાગ્યો છે. 64 વર્ષીય મલિક કિડની સંબંધિત બિમારીથી પીડિત છે અને તેઓ મે-2022થી  એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. 

પ્રફુલ્લ પટેલ અને સુનીલ તટકરે નવા મલિકને મળ્યા

આજે પટેલ અને તટકરે મલિકને મળવા માટે તેમના આવાસ પર ગયા હતા. પત્રકારો સાથે વાતચીત કરતા પ્રફુલ્લ પટેલે કહ્યું કે, આ માત્ર એક સૌજન્ય મુલાકાત હતી. અમે તેમના આરોગ્ય અંગે પુછવા ગયા હતા. તેમણે લગભગ 16 મહિના જેલમાં વિતાવ્યા છે. તેમણે કહ્યું કે, અમારું કર્તવ્ય છે કે, અમારે તેમને મળવું જોઈએ. અમે છેલ્લા 25-30 વર્ષથી એક સાથે રહ્યા છીએ. હું તમામને વિનંતી કરું છું કે, મલિકને સ્વસ્થ થવાનામાં થોડો સમય આપે. તેઓ કિડની સંબંધિત રોગો સામે ઝઝુમી રહ્યા છે.

અગાઉ નવાબ મલિકની પુત્રી અને ભાઈએ કરી હતી અજિત પવાર સાથે મુલાકાત

થોડા દિવસે પહેલાં જ મલિકની પુત્રી અને ભાઈ અજિત પવારને મળ્યા હતા. સોમવારે શરદ પવાર જુથના રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના નેતા સુપ્રિય સુલેએ નવાબના વચગાળાના જામીનને સત્યની જીત ગણાવી છે. હોસ્પિટલ બહાર સુપ્રિયા સુલેએ કહ્યું કે, તેઓ તેમના ભાઈને લેવા આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, તેઓ કોઈ રાજકીય ઉદ્દેશ્ય સાથે અહીં આવ્યા નથી.

Share: