અંકિતા ભંડારી મર્ડર કેસ: ઋષિકેશમાં નહેરમાંથી મળી આવી યુવતીની લાશ

અંકિતા ભંડારી મર્ડર કેસ: ઋષિકેશમાં નહેરમાંથી મળી આવી યુવતીની લાશ


– અંકિતા ભંડારીની કથિત હત્યાના કેસમાં આરોપી એવા ભાજપના નેતાના દીકરા પુલકિત આર્યા સહિત 3ની ધરપકડ કરવામાં આવી છે

નવી દિલ્હી, તા. 24 સપ્ટેમ્બર 2022, શનિવાર

અંકિતા મર્ડર કેસમાં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. પોલીસે મૃતકનો મૃતદેહ ઋષિકેશની ચિલ્લા કેનાલમાંથી કબજે કર્યો છે. પોલીસે મૃતદેહની ઓળખ માટે તેમના પરિવારને બોલાવ્યો હતો. મૃતકના પિતા અને ભાઈએ મૃતદેહની ઓળખ કરી લીધી છે. તમને જણાવી દઈએ કે, 19 વર્ષીય રિસેપ્શનિસ્ટ થોડા દિવસ પહેલા ગુમ થઈ ગઈ હતી. આજે મૃતદેહને કબજે કરવા માટે SDRF ટીમે ચિલ્લા બેરેજ પર રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. 

બીજી તરફ આ સમગ્ર મામલે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા અધિકારીઓને આરોપીઓ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. અધિકીરઓની સાથે બેઠક કરતા સીએમ ધામીએ જણાવ્યું કે, પોલીસ પોતાનું કામ કરી રહી છે. કોઈ પણ સંજોગોમાં પીડિતાને ન્યાય મળશે. સીએમ ધામીએ કહ્યું કે, એક SITનું ગઠન કરવામાં આવ્યું છે.

અંકિતા ભંડારીની કથિત હત્યાના કેસમાં આરોપી એવા ભાજપના નેતાના દીકરા પુલકિત આર્યા સહિત 3ની ધરપકડ કરવામાં આવી છે.  મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના આદેશ બાદ અડધી રાતે પુલકિતના ઋષિકેશ ખાતેના વનતારા રિસોર્ટ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. 

પોલીસના કહેવા પ્રમાણે પીડિતા ભાજપના નેતાના દીકરાના રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી હતી. પુલકિતના પિતા વિનોદ આર્ય પૂર્વ રાજ્ય મંત્રી છે અને ભાજપનો એક દિગ્ગજ ચહેરો છે. તેઓ હાલ ભાજપ ઓબીસી મોર્ચાની રાષ્ટ્રીય કાર્યકારિણીના સદસ્ય છે. સાથે જ યુપીના સહ પ્રભારી પણ છે. 

વધુ વાંચો: Ankita Murder Case: અનૈતિક કાર્યોના અડ્ડા સમાન રિસોર્ટ પર ફરી વળ્યું બુલડોઝર

ઘટના બાદ મહિલાઓએ વિરોધ કર્યો

અંકિતા ભંડારી હત્યાકાંડના આરોપીઓ વિરુદ્ધ મહિલાઓનું વિરોધ પ્રદર્શ જોવા મળી રહ્યું છે. ગઈ કાલે મહિલાઓએ પોલીસ વાહનને રોકીને જાહેરમાં આરોપીને માર માર્યો હતો. મારપીટ કરાયેલા આરોપીઓમાં ઉત્તરાખંડ ભાજપના પૂર્વ રાજ્ય મંત્રીના પુત્ર પણ સામેલ છે. આ મારપીટની ઘટના ત્યારે બની જ્યારે પોલીસ સઘન સુરક્ષા વ્યવસ્થા સાથે ત્રણેય આરોપીઓને કોર્ટમાં હાજર કરવા માટે લઈ જઈ રહી હતી.

Share: