VIDEO: દિલ્હી મ્યુનિ. કોર્પોમાં ફરી હંગામો, BJPનું હનુમાન ચાલીસના પાઠ વાંચ્યા બાદ શૈલી ઓબેરોય સામે પ્રદર્શન

VIDEO: દિલ્હી મ્યુનિ. કોર્પોમાં ફરી હંગામો, BJPનું હનુમાન ચાલીસના પાઠ વાંચ્યા બાદ શૈલી ઓબેરોય સામે પ્રદર્શન

નવી દિલ્હી, તા.22 ફેબ્રુઆરી-2023, બુધવાર

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં બુધવારે મેયરની ચૂંટણી પૂર્ણ થઈ છે. મેયરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર શૈલી ઓબેરોયનો વિજય થયો છે. તો ડેપ્યુટી મેયરની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારનો વિજય થયો હતો. ત્યારબાદ ગૃહમાં સ્થાયી સમિતિની ચૂંટણી માટે ફરીથી કાર્યવાહી શરૂ થઈ હતી. ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરોએ ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. કેટલાય કાઉન્સિલરો શૈલી ઓબેરોયની સામે પહોંચી ગયા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા.

હનુમાન ચાલીસાનો પાઠ કરતા ભાજપના કાઉન્સિલર

ભાજપના કાઉન્સિલરોએ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠક દરમિયાન ગૃહમાં હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. ભાજપે આમ આદમી પાર્ટી પર સ્ટેન્ડિંગ કમિટીના સભ્યની ચૂંટણીમાંથી ભાગવાનો આરોપ લગાવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરોએ મતદાનમાં વિલંબને લઈને ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. મેયરની ચૂંટણી બાદ કોર્પોરેશનની બેઠકમાં વિલંબને લઈને ભાજપના કાઉન્સિલરો ગૃહમાં હનુમાન ચાલીસાના પાઠ કરતા જોવા મળ્યા હતા. ઉપરાંત ભાજપે આમ આદમી પાર્ટી પર સ્થાયી સમિતિની ચૂંટણીમાંથી ભાગી જવાનો આરોપ લગાવ્યો છે. ઉલ્લેખનિય છે કે, મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી બાદ હવે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની ચૂંટણી શરૂ થઈ ગઈ છે.

દિલ્હી MCDમાં વધુ એક ચૂંટણીમાં વિરોધ

ગૃહમાં 5/5 કાઉન્સિલરોને બોલાવીને મતદાન કરાઈ રહ્યું હતું. 5 કાઉન્સિલરોને મતદાન માટે બોલાવાતં જ ગૃહમાં હોબાળો મચ્યો હતો અને જે 5 કાઉન્સિલરને મતદાન માટે બેલેટ અપાયા, તેમણે બેલેટ પેપર પરત કર્યા ન હતા. મેયરે પણ બેલેટ પેપર પરત કરવાની માંગ કરી, પરંતુ નામ બોલવા છતાં કાઉન્સિલરો બેલેટ પેપર પરત કરી રહ્યા નથી. આ કારણોસર ભાજપના કોર્પોરેટરોની માંગણી સ્વીકારવા છતાં સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની ચૂંટણી અટવાઈ ગઈ છે. 250માંથી અત્યાર સુધી માત્ર 47 કાઉન્સિલરોએ પોતાનો મત આપ્યો છે.

ભાજપે આ મામલે ગોટાળાના આક્ષેપો પણ કર્યા છે. મોબાઈલ ફોન લઈને મતદાન કરાવાયાનો દાવો કરવામાં આવ્યો છે. આ મામલે કોર્પોરેશન કમિશનર અને કોર્પોરેશન સેક્રેટરીને ફરિયાદ કરવામાં આવી છે. ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીને નિશાન બનાવવામાં આવી રહી છે. મોટી વાત એ છે કે મેયરે અનેક વખત કાઉન્સિલરોને મતપત્ર પરત કરવાની અપીલ કરી છે, પરંતુ હજુ સુધી કોઈએ જવાબ આપ્યો નથી.

Share: