UPમાં એલર્ટઃ 9 રેલવે સ્ટેશન્સને બોમ્બ વડે ઉડાવી દેવાની ધમકી, પત્રમાં લખેલું- જિહાદીઓના મોતનો બદલો જરૂર લઈશ

UPમાં એલર્ટઃ 9 રેલવે સ્ટેશન્સને બોમ્બ વડે ઉડાવી દેવાની ધમકી, પત્રમાં લખેલું- જિહાદીઓના મોતનો બદલો જરૂર લઈશ


–  6 ડિસેમ્બરના રોજ અયોધ્યાના હનુમાનગઢી, રામજન્મભૂમિ, ઈલાહાબાદ, ગાઝિયાબાદ, મેરઠ, મુઝફ્ફરનગર અને સહારનપુર સહિત યુપીના અનેક મંદિરોમાં વિસ્ફોટ કરવાની ધમકી

નવી દિલ્હી, તા. 10 નવેમ્બર, 2021, બુધવાર

ઉત્તર પ્રદેશના મેરઠ ખાતે સિટી રેલવે સ્ટેશન પર મંગળવારે બપોરે 3:30 કલાકે પોસ્ટ દ્વારા ધમકીભર્યો પત્ર પહોંચ્યો હતો. આ પત્રમાં મેરઠ સહિત અનેક જિલ્લાઓમાં રેલવે સ્ટેશન્સને 26 નવેમ્બરના રોજ અને 6 ડિસેમ્બરના રોજ ધાર્મિક સ્થળોને બોમ્બ વડે ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ધમકીભર્યા પત્રના અનુસંધાને જીઆરપી દ્વારા રેલવે સ્ટેશન પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. 

મેરઠ સિટી રેલવે સ્ટેશન અધીક્ષકના નામથી મોકલવામાં આવેલા પત્રમાં લખ્યું હતું કે, હું મારા જિહાદીઓના મૃત્યુનો બદલો જરૂરથી લઈશ. ખુદા મને માફ કરી દેજો, અમે હિંદુસ્તાનને તબાહ કરી દઈશું. 26 નવેમ્બરના રોજ ગાઝિયાબાદ, હાપુડ, મેરઠ, મુઝફ્ફરનગર, અલીગઢ, ખુર્જા, કાનપુર, લખનૌ, શાહજહાપુર સહિત અનેક રેલવે સ્ટેશન્સને બોમ્બ વડે ઉડાવી દેવામાં આવશે. 

વધુમાં 6 ડિસેમ્બરના રોજ અયોધ્યાના હનુમાનગઢી, રામજન્મભૂમિ, ઈલાહાબાદ, ગાઝિયાબાદ, મેરઠ, મુઝફ્ફરનગર અને સહારનપુર સહિત યુપીના અનેક મંદિરોને બોમ્બ વડે ઉડાવી દેવામાં આવશે. જોકે આ પહેલા પણ રેલવે સ્ટેશન પર 3 ધમકીભર્યા પત્રો આવેલા છે. 

Share: