Ukraine War : રશિયા સૈન્ય કાર્યવાહી ઘટાડશે, યુદ્ધ હજી સમાપ્ત નહિ

Ukraine War : રશિયા સૈન્ય કાર્યવાહી ઘટાડશે, યુદ્ધ હજી સમાપ્ત નહિ


– લશ્કરને પરત ખેંચી બંને દેશોની શાંતિ મંત્રણા તરફ આગેકૂચ

નવી દિલ્હી,તા.29.માર્ચ.2022,મંગળવાર

રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે એક સારા સમાચાર આવ્યાં છે. બંને દેશોએ યુદ્ધના મોરચે શાંતિ સ્થાપવા માટે લશ્કરને પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે.

યુક્રેન સાથે ચાલી રહેલ મંત્રણા અને તેની સંધિમાં વિશ્વાસનું વાતાવરણ ઉભું થાય તેવા ઉદ્દેશ્ય સાથે યુક્રેનની રાજધાની કિવ અને ચેરનીજીવ શહેરની આસપાસના વિસ્તારમાંથી લશ્કરી કાફલો પરત ખેંચવાની જાહેરાત કરી છે.

તુર્કીની રાજધાની ઈસ્તાંબુલમાં વાટાઘાટો બાદ રશિયાના નાયબ સંરક્ષણ મંત્રીએ પ્રેસવાર્તામાં આ જાહેરાત કરી છે. યુક્રેને યુદ્ધ ખતમ કરવા માટે આપેલ દરખાસ્ત અનુસાર યુક્રેન સંપૂર્ણ રીતે નિષ્પક્ષ રાષ્ટ્ર રહેશે. બીજી દરખાસ્ત અનુસાર યુક્રેન પોતાની ધરતી પર કોઈપણ વિદેશી લશ્કરી તાકાતને મથક સ્થાપવા કે તેનો ઉપયોગ કરવા માટે જમીન આપશે નહિ.

આ બે મહત્વની દરખાસ્તને આધારે રશિયાએ ઉપરોકત સમજૂતી કરવાની જાહેરાત કરી છે. દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલનસ્કીએએ રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિન સાથે રૂબરૂ ચર્ચા કરવાની માંગણી કરી છે

વાટાઘાટોમાં રશિયાએ ફરી એક વખત જણાવ્યું હતુ મુખ્ય ઉદ્દેશ્ય ડોનબાસ અને શોઈબુ પ્રાંતને યુક્રેનથી સ્વતંત્ર કરવાનો હતો. 

યુદ્ધવિરામ-યુદ્ધપૂર્ણ નહિ

રશિયાએ કરેલ જાહેરાતનો મતલબ એવો નથી કે યુક્રેન યુદ્ધ પૂર્ણ થયું. બંને દેશ વચ્ચે વિશ્વાસનું વાતાવરણ ઉભું થાય અને અંતિમ શાંતિ સંધિ પર હસ્તાક્ષર થાય તે માટેનું આ પ્રથમ પગલું છે. 

રશિયાના નાયબ સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતુ કે “અમે લશ્કરી કાર્યવાહી ઘટાડીશું. યુક્રેન એક નિષ્પક્ષ દેશ બને જેની પાસે પરમાણુ હથિયાર ન હોય અને યુક્રેનની સુરક્ષામાં કોઈપણ વિદેશી સત્તા-સંસ્થાનો હાથ ન તેવી પૂર્વશરત સાથે રશિયન સરકારે કીવ અને ચેરનીબો તરફ લશ્કરી કાર્યવાહી ઘટાડવાની જાહેરાત કરી છે.” 

આજની ચર્ચા પૂર્ણ થઈ છે. આવતીકાલે ફરી બંને દેશો વચ્ચે તુર્કીમાં ફરી વાટાઘાટો આગળ વધશે.

આ અહેવાલની સાથે આજના અપડેટ અને રશિયાની ચાલ અંગે ચર્ચા કરવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન ફરી ફ્રાંસ, જર્મની, ઈટલી અને યુકેના વડા સાથે વાતચીત કરવાના પણ અહેવાલ છે. 

Share: