PMLA અંગેના નિર્ણય મામલે ફેરવિચારણા માટે સુપ્રીમ કોર્ટ તૈયાર, કેન્દ્રને નોટિસ

PMLA અંગેના નિર્ણય મામલે ફેરવિચારણા માટે સુપ્રીમ કોર્ટ તૈયાર, કેન્દ્રને નોટિસ


– નિર્ણયના 2 પાસાઓ અંગે ફેરવિચારણા થશે, ઓપન કોર્ટમાં થઈ સુનાવણી

નવી દિલ્હી, તા. 25 ઓગષ્ટ 2022, ગુરૂવાર

સુપ્રીમ કોર્ટ મની લોન્ડ્રિંગ એક્ટ અંતર્ગત ઈડીની શક્તિઓને યથાવત રાખવા અંગેના પોતાના નિર્ણય પર પુનર્વિચારણા માટે સહમત થઈ છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. સુપ્રીમ કોર્ટે 27મી જુલાઈના પીએમએલએના નિર્ણય મામલે 2 પાસાઓમાં પુનર્વિચારણા માટે સહમતી દર્શાવી છે. પહેલું તો ECIRની કોપી આપવી જરૂરી નહીં તે અને બીજું દોષ સિદ્ધ થઈ જાય ત્યાં સુધી નિર્દોષ હોવાની અવધારણાને નકારવી. 

વધુ વાંચોઃ EDને ધરપકડ, સંપત્તિ જપ્ત કરવાનો અધિકાર, PMLAમાં ફેરફાર યોગ્ય- SC

સુપ્રીમ કોર્ટે આજ રોજ કોંગ્રેસી નેતા કાર્તિ ચિદંબરમ દ્વારા દાખલ કરવામાં આવેલી એક અરજી પર કેન્દ્રને નોટિસ પાઠવી છે. તેમાં જસ્ટિસ ખાનવિલકરની આગેવાનીવાળી પીઠ દ્વારા જુલાઈ 2022ના PMLA નિર્ણયની સમીક્ષા કરવાની માગણી કરવામાં આવી હતી. 

કેન્દ્ર તરફથી ઉપસ્થિત સોલિસિટર જનરલ તુષાર મેહતાએ તે અરજીનો વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, સમીક્ષા માટે રેકોર્ડમાં સ્પષ્ટપણે ગરબડ હોવી જોઈએ. અને આ એકમાત્ર અધિનિયમ નથી પરંતુ તે ભારતની આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓ પ્રમાણે છે. 

સમીક્ષા અરજીકર્તા તરફથી વરિષ્ઠ એડવોકેટ કપિલ સિબ્બલે જણાવ્યું કે, આ મામલે પુનર્વિચારણાની જરૂર છે. તેમણે જણાવ્યું કે, નિર્ણયમાં કહેવામાં આવ્યું છે કે, પીએમએલએ શિક્ષાત્મક કાયદો નથી. તેના પર પુનર્વિચારણા કરવાની જરૂર છે. 

મુખ્ય ન્યાયાધીશ એનવી રમના, જસ્ટિસ દિનેશ માહેશ્વરી અને જસ્ટિસ સીટી રવિકુમારની બેંચે આ મામલે સુનાવણી કરી હતી. આ સુનાવણીની ખાસીયત એ હતી કે, તે ઓપન કોર્ટમાં કરાઈ હતી જેમાં મીડિયા અને સામાન્ય લોકોને કોર્ટની કાર્યવાહી જોવા માટેની મંજૂરી આપવામાં આવી હતી. 

Share: