PM મોદી આજે કરશે વિદ્યાર્થીઓ સાથે સંવાદ, પરીક્ષાના દરેક મુદ્દા પર કરશે ચર્ચા

PM મોદી આજે કરશે વિદ્યાર્થીઓ સાથે સંવાદ, પરીક્ષાના દરેક મુદ્દા પર કરશે ચર્ચા
Image : Screen Grab DD News 

નવી દિલ્હી, 27 જાન્યુઆરી 2023, શુક્રવાર

PM નરેન્દ્ર મોદી આજે વિદ્યાર્થીઓ સાથે વિવિધ મુદ્દાઓ પર વાતચીત કરશે અને તેમના તમામ પ્રશ્નોના જવાબ આપશે. આ માટે ભારત સરકાર દ્વારા ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આજે આયોજિત કરવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લેશે. કાર્યક્રમ સવારે 11 વાગ્યે શરૂ થશે. આ પ્રસંગે વડાપ્રધાન માત્ર વિદ્યાર્થીઓ સાથે જ નહીં પરંતુ શિક્ષકો અને વાલીઓ સાથે પણ વાતચીત કરશે અને તેમના પ્રશ્નોના જવાબ આપશે. 

મોદી આ મુદ્દાઓ પર ચર્ચા કરશે

ગત વર્ષની જેમ આ વર્ષે પણ પીએમ મોદી શિક્ષણ અને રોજગાર સાથે સંબંધિત વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે. વિદ્યાર્થીઓ સાથે તણાવમુક્ત રહેવાથી માંડીને કૌટુંબિક દબાણને કેવી રીતે હેન્ડલ કરવું તથા શિક્ષણને લગતા અનેક વિષયો પર ચર્ચા કરવામાં આવશે.

આ માટે 20 લાખ પ્રશ્નો આવ્યા છે

સુત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન મોદી માટે ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ અંતર્ગત બહોળી સંખ્યામાં સવાલો આવ્યા છે. NCERTએ આ વિશે માહિતી આપી છે કે લગભગ 20 લાખ પ્રશ્નો આવ્યા છે, જેમાંથી શ્રેષ્ઠ પ્રશ્નોની પસંદગી કરવામાં આવી છે. આ પ્રશ્નો કૌટુંબિક દબાણ, તણાવ વ્યવસ્થાપન, ખોટી પદ્ધતિઓનો ઉપયોગ, સ્વસ્થ અને ફિટ કેવી રીતે રહેવું અને કારકિર્દીની પસંદગી જેવા વિવિધ વિષયોના છે. આ વર્ષે 38 લાખ વિદ્યાર્થીઓએ PPC 2023 માટે નોંધણી કરાવી છે.

આ કાર્યક્રમ સવારે 11 વાગ્યાથી શરુ થશે

પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમ સવારે 11 વાગ્યાથી શરુ થશે. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ આ કાર્યક્રમ નિહાળી શકશે. તાલકટોરા ઇન્ડોર સ્ટેડિયમમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. વિદ્યાર્થીઓ પીએમને મળવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. 

Share: