PM મોદીના હસ્તે આયુષ સમિટનો શુભારંભ, આયુષ વિઝા કેટેગરી શરૂ કરવામાં આવશે

PM મોદીના હસ્તે આયુષ સમિટનો શુભારંભ, આયુષ વિઝા કેટેગરી શરૂ કરવામાં આવશે


– મેડિકલ ટુરિઝમના સેક્ટરમાં ઈન્વેસ્ટમેન્ટની સંભાવના વધશેઃ વડાપ્રધાન

ગાંધીનગર, તા. 20 એપ્રિલ 2022, બુધવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 3 દિવસીય ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો અને અંતિમ દિવસ છે. વડાપ્રધાને આજે મહાત્મા મંદિર ખાતે 3 દિવસીય આયુષ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગનૌથ અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસ, CM ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત કેન્દ્રીય આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલ અને રાજ્ય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા, મંત્રીમંડળના અન્ય સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાને વેલકમ ટુ ગુજરાત કહીને સૌને આવકાર આપ્યો હતો. ત્યાર બાદ વડાપ્રધાને પોતાના સંબોધન દરમિયાન હેલ્થ ટુરિઝમ ક્ષેત્રે ભારત આકર્ષણનું કેન્દ્ર બન્યું છે તેમ જણાવ્યું હતું. આ સાથે જ તેમણે આયુષ વિઝા કેટેગરી શરૂ કરવામાં આવી રહી છે તેવી જાહેરાત કરી હતી. 

સમિટ દરમિયાન આયુષ ક્ષેત્રે આશરે 5,000 કરોડ રૂપિયાના મૂડીરોકાણ માટે હસ્તાક્ષર થયા હતા. ત્યાર બાદ વડાપ્રધાન મોદી દાહોદ ખાતે રેલવે મંત્રાલય માટે 20,000 કરોડ રૂપિયાના રોકાણથી 9,000 HPના ઈલેક્ટ્રિક રેલવે એન્જિનના નિર્માણ માટેના કારખાનાનું ઉદ્ઘાટન કરશે. 

ઉપરાંત મધ્ય-દક્ષિણ ગુજરાતના આદિવાસીઓના વિશાળ સંમેલનને સંબોધિત કરીને વિધાનસભા ચૂંટણી પ્રચાર માટેના શ્રીગણેશ કરશે. ત્યાર બાદ વડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટથી સાંજે 6:00 કલાકે નવી દિલ્હી જવા માટે રવાના થશે. 

Share: