PM મોદીએ ઘાટીને આપી 20 હજાર કરોડની ભેટ, જણાવ્યું જમ્મુ-કાશ્મીર માટેનું ફ્યુચર વિઝન

PM મોદીએ ઘાટીને આપી 20 હજાર કરોડની ભેટ, જણાવ્યું જમ્મુ-કાશ્મીર માટેનું ફ્યુચર વિઝન


– 100 જનઔષધિ કેન્દ્ર જમ્મુ કાશ્મીરના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તી દવા, સસ્તો સર્જિકલ સામાન ઉપલબ્ધ કરાવવાનું માધ્યમ બનશે

નવી દિલ્હી, તા. 24 એપ્રિલ 2022, રવિવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુ અને કાશ્મીરના પ્રવાસે છે. કલમ 370 નાબૂદી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જમ્મુ કાશ્મીરમાં આ પ્રથમ પ્રવાસ છે. આ દરમિયાન તેમણે રાજ્યને 20 હજાર કરોડ રૂપિયાની ભેટ સોગાદો આપી છે.

વડાપ્રધાન મોદી પંચાયતી રાજ દિવસ સમારંભમાં સહભાગી બનવા માટે જમ્મુ અને કાશ્મીર પહોંચ્યા છે. ઉપરાંત આજે જ તેઓ મુંબઈ પણ જશે જ્યાં તેમનું પ્રથમ લતા દીનાનાથ મંગેશકર પુરસ્કાર વડે સન્માન થશે. વડાપ્રધાને જમ્મુના સાંબા જિલ્લા ખાતેની પલ્લી પંચાયતમાં લોકોને સંબોધિત કર્યા હતા. 

વડાપ્રધાને જમ્મુમાં આશરે 20,000 કરોડ રૂપિયાની અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા હતા. વડાપ્રધાને દિલ્હી-કટરા એક્સપ્રેસ વેની આધારશિલા રાખી. રતલે જલ વિદ્યુત પરિયોજના (850 મેગાવોટ)નું ઉદ્ઘાટન કર્યું. આ સાથે જ ક્વાર જલ વિદ્યુત પરિયોજના (540 મેગાવોટ)નો શિલાન્યાસ કર્યો. 

સ્વામિત્વ કાર્ડ ગામોમાં નવી સંભાવનાઓ જન્માવશે

વડાપ્રધાને જણાવ્યું કે, આજે અનેક પરિવારોને ગામોમાં તેમના ઘર માટે પ્રોપર્ટી કાર્ડ મળ્યા છે. આ સ્વામિત્વ કાર્ડ ગામોમાં નવી સંભાવનાઓને પ્રેરિત કરશે. 

વધુમાં જણાવ્યું કે, સાંબાની પલ્લી પંચાયત દેશની પ્રથમ કાર્બન ન્યુટ્રલ પંચાયત બનવા તરફ આગળ વધી રહી છે. આજે મને પલ્લી ગામમાં દેશના ગામડાઓના જન પ્રતિનિધિઓ સાથે જોડાવા તક મળી છે. આ મોટી ઉપલબ્ધિ અને વિકાસના કામો માટે જમ્મુ કાશ્મીરને ઘણી બધી શુભેચ્છાઓ. આ વખતનો પંચાયતી રાજ દિવસ જમ્મુ કાશ્મીરમાં ઉજવાય તે એક ખૂબ મોટા પરિવર્તનનું પ્રતીક છે. આ ખૂબ જ ગર્વની વાત છે જ્યારે જમ્મુ કાશ્મીરમાં ગ્રાસ રૂટ સુધી લોકશાહી પહોંચી છે ત્યારે અહીંથી હું દેશભરની પંચાયતો સાથે સંવાદ સાધી રહ્યો છું. 

ડોગરી ખાતે જમ્મુના લોકોનું અભિવાદન

વડાપ્રધાને ડોગરી ખાતે જમ્મુના લોકોનું અભિવાદન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘શૂરવીરેં દી ધરતી જમ્મુ ચ દે મહાન પરાયેં ગી મેરા નમસ્કાર.’ તેમણે જણાવ્યું કે, અનેક દશકાઓ બાદ જમ્મુ કાશ્મીરની ધરતી પર દેશના લોકોએ આવી ભારે મોટી ભીડ એકઠી થયેલી જોઈ છે. જમ્મુ કાશ્મીરમાં 20 હજાર કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનો શિલાન્યાસ થયો છે જે જમ્મુ કાશ્મીર જેવા પ્રદેશ માટે ખૂબ જ મોટી રાશિ છે. દેશને કાર્બન ન્યુટ્રલ બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે તે દિશામાં જમ્મુ કાશ્મીરે આજે મોટી પહેલ કરી છે. 

108 જનઔષધિ કેન્દ્ર

પલ્લી રેલી દરમિયાન વડાપ્રધાન મોદીએ જમ્મુ કાશ્મીરના નાગરિકોને સ્વાસ્થ્ય ક્ષેત્રે નવી સોગાદો આપી હતી. વડાપ્રધાને પ્રદેશના લોકોને 108 જનઔષધિ કેન્દ્ર સમર્પિત કર્યા હતા. કેન્દ્ર સરકારી હોસ્પિટલ્સ અને ખાનગી કેન્દ્રોમાં આ પ્રકારના જનઔષધિ કેન્દ્ર ખોલવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય દર્દીઓને સસ્તા દરે ગુણવત્તાયુક્ત દવાઓ ઉપલબ્ધ કરાવીને તેમને આર્થિક સહાય આપવાનો છે. 

500 કિલોવોટના સોલાર પાવર પ્લાન્ટનું લોકાર્પણ

વડાપ્રધાને પલ્લી ખાતે 500 કિલોવોટના સોલાર પાવર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. તે સિવાય વડાપ્રધાને કાજીગુંડ-બનિહાલ ટનલ (8.45 કિમી)નું ઉદ્ઘાટન કર્યું જે 2027 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ છે. જમ્મુ કાશ્મીર ખાતે 108 જનઔષધિ કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. 

Share: