PM મોદીએ કરી 'ભારતીય અંતરિક્ષ સંઘ'ની શરૂઆત, કહ્યું- ભારતનું સામર્થ્ય દુનિયા કરતાં જરા પણ ઓછું નથી

PM મોદીએ કરી 'ભારતીય અંતરિક્ષ સંઘ'ની શરૂઆત, કહ્યું- ભારતનું સામર્થ્ય દુનિયા કરતાં જરા પણ ઓછું નથી


– ભારતીય અંતરિક્ષ સંઘના સંસ્થાપક સદસ્યોમાં લાર્સન એન્ડ ટુબ્રો, નેલ્કો, વનવેબ, ભારતી એરટેલ, મેપમાય ઈન્ડિયા, વાલચંદનગર ઈન્ડસ્ટ્રીઝ અને અનંત ટેક્નોલોજીનો સમાવેશ થાય છે

નવી દિલ્હી, તા. 11 ઓક્ટોબર, 2021, સોમવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ‘ઈન્ડિયન સ્પેસ અસોસિએશન’ની શરૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે, ભારતમાં સ્પેસ સેક્ટર અને સ્પેસ ટેક્નોલોજીને લઈ ભારે મોટા ફેરફાર થઈ રહ્યા છે. ઈન્ડિયન સ્પેસ અસોસિએશન આ ફેરફારોની જ એક કડી છે. વડાપ્રધાને ઈસ્પાની રચનાને લઈ તમામ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. 

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ઈન્ડિયન સ્પેસ અસોસિએશનના 4 ઉદ્દેશ્ય છે. તેમાં પહેલું છે નવાચાર માટે પ્રાઈવેટ સેક્ટરને સ્વતંત્રતા આપવી, બીજું એક પ્રવર્તક તરીકે સરકારની ભૂમિકા સુનિશ્ચિત કરવી, ત્રીજું યુવાનોને ભવિષ્ય માટે તૈયાર કરવા અને ચોથું સ્પેસ સેક્ટરનો વિકાસ સામાન્ય નાગરિકોના સાધન તરીકે કરવો. 

વડાપ્રધાને જણાવ્યું કે, આપણો ઉદ્દેશ્ય નવાચારને ગ્લોબલ સેન્ટર બનાવવાનો છે. આ એક એવી રણનીતિ છે જે ભારતના ટેક્નોલોજીકલ એક્સપર્ટીઝને આધાર બનાવશે અને વૈશ્વિક વિકાસમાં વિશાળ ભૂમિકા ભજવશે. આત્મનિર્ભર ભારત ફક્ત એક અભિયાન નથી. તે એક વધુ સારો વિચાર અને વધુ સારી યોજના પણ છે જેનાથી ભારતના ઉદ્યોગ સાહસિકો અને યુવાનોના કૌશલ્યને વધારી શકાય અને ભારતને મેન્યુફેક્ચરિંગનું પાવરહાઉસ બનાવી શકાય.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, આપણું સ્પેસ સેક્ટર 130 કરોડ દેશવાસીઓની પ્રગતિનું એક વિશાળ માધ્યમ છે. આ ક્ષેત્ર સામાન્ય માણસોને વધુ સારૂ મેપિંગ, ઈમેજિંગ અને કનેક્ટિવિટીની સુવિધાઓ પૂરી પાડશે. તે સંઘ ઉદ્યમીઓને શિપમેન્ટથી લઈને ડિલિવરી સુધી વધુ સારી સ્પીડ પૂરી પાડશે. 

પીએમઓના અહેવાલ પ્રમાણે ભારતીય અંતરિક્ષ સંઘના સંસ્થાપક સદસ્યોમાં લાર્સન એન્ડ ટુબ્રો, નેલ્કો, વનવેબ, ભારતી એરટેલ, મેપમાય ઈન્ડિયા, વાલચંદનગર ઈન્ડસ્ટ્રીઝ અને અનંત ટેક્નોલોજીનો સમાવેશ થાય છે. આ સંઘ અંતરિક્ષ સંબંધી નીતિઓની હિમાયત કરશે અને સરકાર તથા સરકારી એજન્સીઓ વચ્ચે સામંજસ્ય સ્થાપિત કરશે. 

Share: