NSEમાં વધુ એક રાજીનામુ: વિક્રમ લિમયે બીજી ટર્મ માટે તૈયાર નથી

NSEમાં વધુ એક રાજીનામુ: વિક્રમ લિમયે બીજી ટર્મ માટે તૈયાર નથી

અમદાવાદ, તા. 09 માર્ચ 2022, બુધવાર

વિશ્વના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જમાંથી એક અને દેશના શેરબજાર ઉપર એકચક્રી શાસન ધરાવતા નેશનલ સ્ટોક એક્સચેન્જમાં વિવાદ શમતા જ નથી. ચિત્રા રામકૃષ્ણ, રવિ નારાયણ બાદ હવે વર્તમાન અધ્યક્ષ વિક્રમ લિમયેએ પણ જુલાઈ 2022માં પૂર્ણ થઈ રહેલી ટર્મ પછી ખસી જવાની જાહેરાત કરી છે.

લિમયેએ એક પત્રમાં જણાવ્યું હતું કે, એક્સચેન્જની કામગીરી મજબૂત કરવા, તેને સ્થિરતા આપવા પોતે બધા જ પગલાં ભર્યા છે પણ હવે પોતે નિવૃત્ત થવા ઈચ્છે છે. આ અંગે બોર્ડને જાણકારી આપી છે અને જુલાઈમાં ટર્મ પૂર્ણ થાય પછી પોતે કામ કરશે નહિ.

વિક્રમ લિમાયેના સમયમાં એનએસઇ ઉપર ફ્યુચર અને ઓપ્શનમાં વોલ્યુમ છ ગણું અને રોકડમાં બમણું થયું છે. ગત સપ્તાહે જ NSE એ નવી જાહેરાત આપી મેનેજિંગ ડિરેક્ટર માટે નવા ઉમેદવારની શોધ શરૂ કરી છે.

કો લોકેશન કૌભાંડમાં કેટલાક બ્રોકરને ખાસ સગવડ આપવમાં માટે ચિત્રા રામકૃષ્ણ સામે ફરિયાદ થયેલી અને તેમને 2016માં પદ છોડવા ફરજ પડી હતી. રામકૃષ્ણની હરકતો અંગે કોઈ પગલાં નહીં લેનાર અનુગામી રવિ નારાયણે પણ પછી રજનામુ આપી દીધું હતું. ચિત્રા અત્યારે સીબીઆઇ કસ્ટડીમાં છે અને કો લોકેશન કેસમાં તેમની પૂછપરછ થઈ રહી છે.

Share: