KMC ચૂંટણીમાં બંપર વિજય બાદ મમતા બેનર્જીએ કામાખ્યા મંદિરમાં કરી પૂજા, કહ્યું- આ લોકશાહીનો વિજય

KMC ચૂંટણીમાં બંપર વિજય બાદ મમતા બેનર્જીએ કામાખ્યા મંદિરમાં કરી પૂજા, કહ્યું- આ લોકશાહીનો વિજય


– મમતાએ આ વિજયને રાષ્ટ્રીય રાજકારણમાં મહત્વનો વિજય ગણાવ્યો 

નવી દિલ્હી, તા. 21 ડિસેમ્બર, 2021, મંગળવાર

કોલકાતા નગર નિગમની ચૂંટણીમાં બંપર વિજય બાદ તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીએ આસામના ગુવાહાટી ખાતે માતા કામાખ્યા દેવીના મંદિરમાં પૂજા કરી હતી અને આશીર્વાદ માગ્યા હતા. કોલકાતા નગર નિગમની ચૂંટણીમાં કુલ 144 બેઠકો પરથી 134 બેઠકો પર ટીએમસીને વિજય મળ્યો છે. જ્યારે ભાજપને 3 બેઠક પર, કોંગ્રેસને 2 બેઠક પર, લેફ્ટને 2 બેઠક પર જીત મળી છે. તે સિવાય 3 બેઠકો પર અપક્ષને જીત મળી છે. ટીએમસીને 71.95 ટકા મત મળ્યા હતા જ્યારે ભાજપને 08.94 ટકા, કોંગ્રેસને 04.47 ટકા, લેફ્ટને 11 ટકા મત મળ્યા છે. 

ચૂંટણીના પરિણામો બાદ મમતા બેનર્જીએ કહ્યું કે, ભાજપ, કોંગ્રેસ, સીપીએમ સૌ ચૂંટણી લડ્યા હતા. તેની રાષ્ટ્રીય રાજકારણ પર અસર પડશે. આ પરિણામથી વિકાસ પર અસર પડશે અને હજુ વધુ વિકાસ કરીશું. તેમણે આ વિજયને રાષ્ટ્રીય રાજકારણમાં મહત્વનો વિજય ગણાવ્યો હતો. 

મમતા બેનર્જીએ કહ્યું કે, ઉત્સવના માહોલમાં ચૂંટણી થઈ છે. ઉત્સવમાં લોકશાહીનો વિજય થયો છે. મા, માટી અને માનુષ પ્રત્યે કૃતજ્ઞ છું. કોલકાતા અને બંગાળ આખા દેશને રસ્તો બતાવશે. 

Share: