ED દ્વારા સોનિયા ગાંધીની આજની પુછપરછ સમાપ્ત, 25 જુલાઈએ ફરી બોલાવાયા

ED દ્વારા સોનિયા ગાંધીની આજની પુછપરછ સમાપ્ત, 25 જુલાઈએ ફરી બોલાવાયા


– દિલ્હીમાં કોંગ્રેસી કાર્યકરો પર વોટર કેનનો ઉપયોગ કરવો પડ્યો હતો

નવી દિલ્હી, તા. 21 જુલાઈ 2022, ગુરૂવાર

નેશનલ હેરાલ્ડ કેસ મામલે ઈડીએ આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની પુછપરછ કરી હતી. આશરે 2 કલાક સુધી ચાલેલી પુછપરછ બાદ તેમને 25 જુલાઈના રોજ ફરી હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. ઈડીના અધિકારીઓએ જો પુછપરછ દરમિયાન સોનિયા ગાંધીની તબિયત ખરાબ થશે તો તેમને પાછા જવા દેવામાં આવશે તેમ જણાવ્યું હતું. સોનિયા ગાંધીની સાથે પ્રિયંકા ગાંધી અને ડોક્ટર્સની ટીમ પણ ઈડીના કાર્યાલય પહોંચ્યા હતા. 

આ તરફ ઈડીની કાર્યવાહીના વિરોધમાં કોંગ્રેસી કાર્યકરો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. ગુવાહાટી ખાતે પોલીસે કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી ત્યાર બાદ અથડામણ સર્જાઈ હતી. 

દિલ્હીમાં કોંગ્રેસી કાર્યકરો પર વોટર કેનનો ઉપયોગ કરવો પડ્યો 

પુછપરછ સમાપ્ત થયા બાદ સોનિયા ગાંધી લંચ માટે નીકળ્યા હતા. નેશનલ હેરાલ્ડ મામલે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીની ઈડી દ્વારા થઈ રહેલી પુછપરછના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા પાર્ટીના વરિષ્ઠ નેતા શશિ થરૂર, મુખ્યમંત્રી અશોક ગેહલોત, સચિન પાયલોટ સહિતના અનેક કોંગ્રેસી કાર્યકરોને દિલ્હી પોલીસે કસ્ટડીમાં લીધા હતા. 

ગેહલોતના કહેવા પ્રમાણે સોનિયા ગાંધીની ઉંમર 70 વર્ષથી વધારે છે માટે ઈડીએ ઘરે આવીને તેમની પુછપરછ કરવી જોઈતી હતી. આ ઉપરાંત તેમણે ઈડીનો ખોટી રીતે ઉપયોગ થઈ રહ્યો છે તે જગજાહેર છે તેવો આક્ષેપ કર્યો હતો. 

Share: