CM મમતા બેનર્જીએ અમિત શાહને આપી સલાહ, કહ્યું ‘કોલકાતા આવ્યા પહેલા મણિપુર જવું જોઈએ’

CM મમતા બેનર્જીએ અમિત શાહને આપી સલાહ, કહ્યું ‘કોલકાતા આવ્યા પહેલા મણિપુર જવું જોઈએ’

કોલકાતા, તા.8 મે-2023, સોમવાર

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મણિપુર હિંસાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સલાહ આપતા કહ્યું કે, બંગાળ આવવાની જગ્યાએ તેઓ મણિપુર જાય… મમતા બેનર્જીએ આજે કહ્યું કે, શું ચૂંટણી પ્રચાર જરૂરી છે ? મણિપુરમાં ખુની ખેલ રમાઈ રહ્યો છે. શું ડબલ એન્જીન સરકારે કંઈ ન બોલવું જોઈએ. ચૂંટણી આવશે અને જશે… ઘણા નેતાઓ છે જેઓ ચૂંટણી પ્રચારમાં જઈ શકે છે. અમિત શાહ બંગાળ આવવાને બદલે મણિપુર જાય… તેમણે કહ્યું કે, ‘મૈન મેડ પ્રોબલેમ’ છે. જો અમારા ત્યાં કંઈ થાય તો સેન્ટ્રલ ટીમ મોકલવામાં આવે છે.

મણિપુરમાં ફસાયેલા બંગાળના 18 વિદ્યાર્થીઓને પરત લવાયા

બીજી તરફ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, હિંસાગ્રસ્ત મણિપુરમાં ફસાયેલા રાજ્યના 18 વિદ્યાર્થીઓને સોમવારે સવારે બંગાળ સરકાર દ્વારા કોલકાતા પરત લવાયા છે. મુખ્યમંત્રીએ માહિતી આપી કે, આ વિદ્યાર્થીઓ ઈમ્ફાલમાં કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટીમાં B.Sc, M.Sc અને Ph.D કરી રહ્યા છે. તેમણે કહ્યું કે રાજ્ય સચિવાલય નબન્નામાં શરૂ કરાયેલ કંટ્રોલ રૂમમાં ઈમરજન્સી કોલ મળ્યા બાદ વિદ્યાર્થીઓને પરત લાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ હતી. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા આયોજિત વિશેષ ફ્લાઈટમાં વિદ્યાર્થીઓને પરત લવાયા હતા.

CM મમતા બેનર્જીએ કર્યું ટ્વીટ

કોલકાતા એરપોર્ટ પર વિમાન સવારે 10.15 વાગ્યે લેન્ડ થયું હતું. મુસાફરીનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ઉઠાવાયો હતો. બેનર્જીએ ટ્વીટ કર્યું કે, કોલકાતા એરપોર્ટ પર અમારા અધિકારીઓએ વિદ્યાર્થીઓને વિશેષ ડેસ્ક પર આવકાર્યા હતા, ત્યાંથી તેમના નિવાસસ્થાન સુધી તેમને પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. તેમણે કહ્યું કે, મણિપુરમાં ફસાયેલા રાજ્યના અન્ય લોકોને બહાર કાઢવાના પ્રયાસો ચાલી રહ્યા છે. બંગાળ સરકારના એક અધિકારીએ જણાવ્યું કે, મણિપુર સરકારે વિદ્યાર્થીઓને યુનિવર્સિટી કેમ્પસથી ઈમ્ફાલ એરપોર્ટ સુધી સુરક્ષિત રીતે પહોંચવામાં મદદ કરી.

મણિપુર હિંસામાં અત્યાર સુધીમાં 54 લોકોના મોત

મણિપુરમાં બહુમતી મૈતી સમુદાયને અનુસૂચિત જનજાતિ (ST)નો દરજ્જો આપવાની માંગના વિરોધમાં આદિવાસીઓ દ્વારા મણિપુરના 10 પહાડી જિલ્લાઓમાં પ્રદર્શન શરૂ કરાયા બાદ ગત બુધવપારે હિંસક અથડામણ સર્જાઈ, જેમાં ઓછામાં ઓછા 54 લોકો મૃત્યુ પામ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, હિંસાગ્રસ્ત વિસ્તારોમાંથી લગભગ 23,000 લોકોને સુરક્ષિત સ્થળોએ લઈ જવાયા છે.

Share: