BCCIની ચોંકાવનારી જાહેરાત, જેને કાઢવાની વાત હતી તેને જ ફરીથી બનાવ્યા સિલેક્શન ચીફ

BCCIની ચોંકાવનારી જાહેરાત, જેને કાઢવાની વાત હતી તેને જ ફરીથી બનાવ્યા સિલેક્શન ચીફ

મુંબઈ, તા.07 જાન્યુઆરી-2023, શનિવાર

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે નવી પસંદગી સમિતિની જાહેરાત કરી દીધી છે. ચોંકાવનારી વાત એ છે કે ચેતન શર્માને ફરી એકવાર પસંદગી સમીતીના અધ્યક્ષ પદ માટે પસંદ કરવામાં આવ્યા છે. તેમના સિવાય શિવ સુંદર દાસ, સુબ્રતો બેનર્જી, સલિલ અંકોલા અને શ્રીધરન સરતના નામ પર મહોર લગાવવામાં આવી હતી.   BCCIને પસંદગીકારના પદ માટે 600થી વધુ લોકોની અરજીઓ મળી હતી. ટ્વિટર હેન્ડલ પર બીસીસીઆઈ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે શર્માને ફરીથી કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

BCCI એ જણાવ્યુ હતું કે “અશોક મલ્હોત્રા, સુલક્ષણા નાઈક, અને જતિન પરાંજપેની બનેલી ક્રિકેટ સલાહકાર સમિતિએ ઓલ ઈન્ડિયા સિલેક્શન કમિટીના   સભ્યોની પસંદગી કરવા માટે એક અલગ પ્રક્રિયા અપનાવી છે. 18 નવેમ્બર 2022 ના રોજ તેની સત્તાવાર વેબસાઇટ પર પ્રકાશિત પાંચ પોસ્ટ્સની જાહેરાત પછી, બોર્ડને લગભગ 600 અરજીઓ મળી હતી. ભારતના ભૂતપૂર્વ ઓપનર શિવ સુંદર દાસ પૂર્વ ઝોનના છે. જ્યારે તમિલનાડુના પૂર્વ બેટ્સમેન શરથ સુનીલ જોશીના સ્થાને દક્ષિણ ઝોનમાંથી આવ્યા છે. શરથને બઢતી આપવામાં આવી છે કારણ કે તે જુનિયર મેન્સ ટીમ પેનલના અધ્યક્ષ હતા. શરથની સમિતિએ ગયા વર્ષે ભારતની અંડર-19 વર્લ્ડ કપ વિજેતા ટીમની પસંદગી કરી હતી.

બોર્ડે વધુમાં જણાવ્યું હતું કે, “જરૂરી તમામ પ્રકારના વિચાર-વિમર્શ કર્યા પછી, CAC એ વ્યક્તિગત ઇન્ટરવ્યુ માટે 11 વ્યક્તિઓને શોર્ટલિસ્ટ કર્યા હતા. ઇન્ટરવ્યુના આધારે સમિતિએ સિનિયર મેન સિલેક્શન કમિટી માટે નીચેના ઉમેદવારોની ભલામણ કરી છે 1) ચેતન શર્મા 2) શિવ સુંદર દાસ 3) સુબ્રતો બેનર્જી 4) સલિલ અંકોલા 5) શ્રીધરન સરત.

Share: