2024માં રાયબરેલી, વારાણસી અને અમેઠીમાં ભાજપને અઘરું પડશે, પ્રિયંકા અંગે રાઉતે કહી મોટી વાત

2024માં રાયબરેલી, વારાણસી અને અમેઠીમાં ભાજપને અઘરું પડશે, પ્રિયંકા અંગે રાઉતે કહી મોટી વાત

image : Twitter

શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના નેતા સંજય રાઉતે કહ્યું છે કે જો પ્રિયંકા ગાંધી વારાણસીથી પીએમ નરેન્દ્ર મોદી સામે લોકસભાની ચૂંટણી લડશે તો તેમની જીત નિશ્ચિત છે. વારાણસીના લોકો પ્રિયંકા ગાંધી ઈચ્છે છે. તેમણે દાવો કર્યો કે રાયબરેલી, વારાણસી અને અમેઠીની લડાઈ ભાજપ માટે મુશ્કેલ બનવાની છે.

આગામી ચૂંટણીમાં આખો દેશ રાહુલને સમર્થન કરશે 

અહેવાલ અનુસાર રાઉતે મુંબઈમાં પત્રકારોના એક પ્રશ્નના જવાબમાં આ દાવો કર્યો હતો. શિવસેના (UBT) સાંસદે કહ્યું કે જો કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વારાણસીથી ચૂંટણી લડશે તો વડાપ્રધાન માટે લોકસભા મતવિસ્તારમાંથી બહાર નીકળવું મુશ્કેલ બનશે. તેમણે કહ્યું કે મને ખાતરી છે કે પ્રિયંકા જીતશે. રાઉતે કહ્યું કે 2024માં આખો દેશ રાહુલ ગાંધીની સાથે ઉભો રહેશે.

અમેઠી, વારાણસી અને રાયબરેલી સીટો પર પણ ફેરફારનો દાવો કર્યો

આ સાથે તેમણે અમેઠી, વારાણસી અને રાયબરેલી સીટો પર પણ ફેરફારનો દાવો કર્યો હતો. હાલમાં પીએમ મોદી વારાણસીથી, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અમેઠીથી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી રાયબરેલી બેઠક પરથી સાંસદ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી 2024ની લોકસભા ચૂંટણી લડશે તે અંગે અટકળોએ જોર પકડ્યું છે. હાલમાં જ તેમના પતિ રોબર્ટ વાડ્રાએ પણ આ અંગે નિવેદન આપ્યું હતું. વાડ્રાએ કહ્યું હતું કે પ્રિયંકા ગાંધીમાં સંસદમાં પ્રવેશવાના તમામ ગુણો ધરાવે છે. 

Share: