MP : પ્રિયંકા ગાંધી સહિત 4 નેતા સામે 41 જિલ્લામાં FIR મુદ્દે કોંગ્રેસ ભડકી, રસ્તાઓ પર ઉતર્યા કાર્યકરો

MP : પ્રિયંકા ગાંધી સહિત 4 નેતા સામે 41 જિલ્લામાં FIR મુદ્દે કોંગ્રેસ ભડકી, રસ્તાઓ પર ઉતર્યા કાર્યકરો

ભોપાલ, તા.13 ઓગસ્ટ-2023, રવિવાર

મધ્યપ્રદેશની શિવરાજ સરકાર પર 50 ટકા કમિશનનો આરોપ લગાવવા મામલે પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના 3 વરિષ્ઠ નેતાઓ સામે કેસ દાખલ કરાયો છે, જેના વિરોધમાં કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓએ આજે મધ્યપ્રદેશના વિવિધ જિલ્લાઓમાં વિરોધ-પ્રદર્શન કર્યું… મધ્યપ્રદેશ કોંગ્રેસ મીડિયા સેલના અધ્યક્ષ કે.કે.મિશ્રાએ દાવો કર્યો કે, રાજ્યના 41 જિલ્લાઓમાં પ્રિયંકા ગાંધી વાડ્રા, કમલનાથ, પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ યાદવ અને જયરામ રમેશ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. 

50 ટકા કમિશનના પત્ર બાદ મામલો બિચક્યો

જોકે ઈન્દોર પોલીસે કહ્યું કે, તેમણે મધ્યપ્રદેશની ભાજપ સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતી એક પોસ્ટ મામલે પ્રિયંકા ગાંધી વાડ્રા, કમલનાથ અને અરૂણ યાદવના સોશિયલ મીડિયા એકાઉન્ટના હેન્ડલરો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ જ્ઞાનેન્દ્ર અવસ્થી નામના વ્યક્તિ દ્વારા બોગસ પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ કરાયો છે, પત્રમાં દાવો કરાયો છે કે, રાજ્યના ઠેકેદારોને 50 ટકા કમિશન આપવા માટે કહેવામાં આવી રહ્યું છે.

કોંગ્રેસ નેતાએ ભાજપ લગાવ્યો આરોપ

મધ્યપ્રદેશ કોંગ્રેસ મીડિયા સેલના અધ્યક્ષ કે.કે.મિશ્રાએ આરોપ લગાવતા કહ્યું કે, ક્રાઈમ બ્રાન્ચ મધ્યપ્રદેશમાં ભાજપ નેતાઓને પ્રોત્સાહન આપી રહી છે. એમપીના પૂર્વ મંત્રી પી.સી.શર્માએ આરોપ લગાવ્યો કે, જો કોઈ સત્ય બોલે છે, તો તેને મધ્યપ્રદેશમાં એફઆઈઆરનો સામનો કરવો પડે છે, જ્યારે તે (ભાજપ નેતા) દરરોજ ખોટુ બોલે છે, પણ તેમની સામે કોઈ મામલો નોંધવામાં આવતો નથી. પી.સી.શર્મા અને કે.કે.મિશ્રાએ કહ્યું કે, તેમણે તેમની હદમાં રહેવું જોઈએ, નહીં તો 4 મહિના બાદ તેમની વરદી છિનવી લેવામાં આવશે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ છેલ્લા અઢી વર્ષમાં થયેલા કૌભાંડોની એક યાદી જાહેર કરશે, ત્યારે તમે (સરકાર) કેટલા લોકો પર કેસ નોંધાવશો ?

ભાજપે કાર્યવાહી કરવાની ચેતવણી આપી

ભાજપના નેતાઓએ પ્રિયંકા ગાંધી વિરુદ્ધ કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. તેમના આરોપોને ખોટા ગણાવતા એમપીના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે, કોંગ્રેસ પાસે આરોપો અંગે પુરાવા માગ્યા અને ચેતવણી આપી કે, રાજ્ય સરકાર અને ભાજપ સામે કાર્યવાહીનો વિકલ્પ ખુલ્લો છે.

પ્રિયંકા ગાંધીએ શું કહ્યું હતું ?

ઉલ્લેખનિય છે કે, પ્રિયંકા ગાંધીને એક્સ, જેને ટ્વિટરના નામથી ઓળખવામાં આવતું હતું. જેમાં દાવો કરાયો હતો કે, મધ્યપ્રદેશના ઠેકેદારોના એક સંઘે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને પત્ર લખીને ફરિયાદ નોંધાવી છે કે, 50 ટકા કમિશન આપ્યા બાદ જ પેમેન્ટ અપાય છે. પ્રિયંકાએ તેમની પોસ્ટમાં લખ્યું હતું કે, કર્ણાટકની ભ્રષ્ટ ભાજપ સરકાર 40 ટકા કમિશનર વસુલતી હતી. મધ્યપ્રદેશમાં ભાજપ તેના જ ભ્રષ્ટાચારના રેકોર્ડને તોડીને આગળ નિકળી ગઈ છે. કર્ણાટકની જનતાએ 40 ટકા કમિશનવાળી સરકારને હટાવી દીધી, હવે મધ્યપ્રદેશની જનતા 50 ટકા કમિશનવાળી સરકારને હટાવશે.

Share: